રૂ.૨.૫૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલા બસ સ્ટેશનને ગૃહ અને વાહનવ્યવહાર મંત્રીએ ખુલ્લું મુકયું; પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે અંદાજીત રૂ.૨.૫૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવીન બસસ્ટેશનનું મંગળવારે ગૃહ અનેવાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવતાં શંખેશ્વરના શ્રધ્ધાળુઓના વર્ષો જૂના સપના સાકાર થયા છે. શંખેશ્વરનું નવીન બસસ્ટેશન ૪૪૬૦ ચો.મી. જમીન વિસ્તારમાં અંદાજીત કિંમત રૂ.૨.૫૭ કરોડ ખર્ચ નિર્માણ પામ્યું છે. આ બસસ્ટેશનમાં કુલ ૭ જેટલા પ્લેટફોર્મ તેમજ પેસેન્જર વેઈટીંગ એરીયા, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, પાર્સલ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
નવીન બસસ્ટેશનનું લોકાર્પણ કરતાં ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે શંખેશ્વરમાં દાદાના ચરણોમાં વંદન કરીને આર્શિવાદ મેળવી અહી એસ.ટી.બસનું લોકાપર્ણ કરતા આનંદ અનુભવી રહ્યો છું. શંખેશ્વર તીર્થ ખાતે દેશભરમાંથી લાખો લોકો દર વર્ષે શંખેશ્વર દાદાની ભક્તિ માટે પધારતા હોય છે. જ્યારે હું પહેલી વાર દાદાના દરબારમાં દર્શન માટે આવ્યો હતો.
ત્યારે ગામમાં આગેવાનોએ મને કહ્યું હતું કે અહી યાત્રીઓ માટે બસ સ્ટેશન બનાવી આપો. ત્યારે વચન આપેલું કે ઝડપથી અહી બસ સ્ટેશનના ખાર્તમુહૂર્ત માટે શંખેશ્વર આવીશ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણાથી શંખેશ્વર ખાતે માત્ર દોઢ વર્ષ પહેલાં ખાર્તમુહૂર્ત કર્યું. તે જ બસ સ્ટેશનનો આજે લોકાર્પણ કરવાનો લાભ પણ મળ્યો છે. શંખેશ્વરનું આ બસ સ્ટેન્ડ હજારો યાત્રિકો માટે ઉપયોગી બની શકે તે માટે બધી જ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં અમદાવાદ, વડોદરા, સુરત ખાતેથી સીધી શખેશ્વરની નવી બસોની શરૂઆત કરવામાં આવશે. જેના લીધે યાત્રિકો સરકારી દરે શંખેશ્વર સુધી પહોંચી શકવામાં સરળતા રહેશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર રાજયના નાગરિકોની વધુમાં વધુ સેવા કરી શકે તે માટે દાદાના ચરણોમાં દર્શન કરીને પ્રાર્થના કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું. શંખેશ્વર નવીન બસસ્ટેશન ના શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર,જિલ્લા કલેકટર અરવિંદ વિજયન,જિલ્લા પોલીસ વડા વી.કે.નાયી, સંગઠનના હોદ્દેદારો,એસ ટી વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ,ગામના સરપંચ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


