ગામડાંઓ પાણીમાં ગરકાવ,રેસ્ક્યુ માટે મહેસાણાથી SDRFની ટીમ બોલાવાઈ : જરૂર પડે હેલિકોપ્ટરની મદદ પણ લેવાશે
હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકથી મેધતાંડવ સજૉતા પાટણ જિલ્લાના સાંતલપુર-રાધનપુર પંથકમાં પડેલા ૮ ઈચ થી વધુ વરસાદના કારણે પંથકના ગામડાઓ પાણીમાં ગરક બનતાં જળબંબાકાર ની સ્થિતિ નું નિમૉણ થતાં મહેસાણાથી SDRFની ટીમ બોલાવવાની ફરજ પડી છે તો જરૂર પડે હેલિકોપ્ટરની મદદ પણ લેવાશે તેવું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. પાટણ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા ૪૮ કલાક થી પડી રહેલા મૂશળધાર વરસાદના કારણે પાટણ જિલ્લાના સાંતલપુર-રાધનપુર પંથકમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડતાં સાંતલપુર અને રાધનપુરનાં અનેક ગામડાંમાં તારાજી સર્જાઇ છે, જેમાં ખાસ કરીને સાંતલપુરના વૌવા, બકુત્રા, દાત્રાણા અને રણમલપુરા સહિતનાં ગામો પાણીમાં ગરકાવ થયાં છે.તો બચાવ રાહત કામગીરી માટે મહેસાણાથી SDRFની ટીમ બોલાવવાની ફરજ પડી છે.
સાંતલપુરના વૌવા, બકુત્રા, દાત્રાણા અને રણમલપુરા ગામનાં તળાવ ઓવરફ્લો થતાં ગામમાં 5 ફૂટથી વધુ પાણી ભરાઇ ગયાં છે. સાંતલપુર મા SDRF ની ટીમ દ્વારા વહેલી સવારથી ૪૦ જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે, હજુ પણ રેસ્ક્યુ કામગીરી ચાલુ છે અને મહેસાણાથી પણ એક SDRFની ટીમ બોલાવી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.જરૂર પડ્યે હેલિકોપ્ટરની પણ મદદ લેવાશે તેવું પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું હતું. વધુ મા તેઓએ જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી ને પગલે જિલ્લાની તમામ ટીમો કાર્યરત છે, બધા અધિકારીઓ રેડ એલર્ટ પર છે.નેશનલ હાઇવેના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે, જો જરૂર પડશે તો હાઇવે તોડીને પાણીનો નિકાલ કરવામાં આવશે તેવું કલેકટરે જણાવ્યું હતું.

