વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2018થી પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે માર્ચ-એપ્રિલ માસમાં જનજાગૃતિ માટે “પોષણ પખવાડીયા”ની ઉજવણી કરાય છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લા આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરના નેતૃત્વમાં ચાલુ વર્ષે જિલ્લામાં 7માં પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા-ધાત્રી માતાઓ- બાળકો તેમજ ગ્રામ્ય લોકોને પોષણ અંગે જાગૃતિ માટે પ્રયાસો હાથ ધરાયા હતા.
પોષણ અભિયાન અંતર્ગત ઘટક પાલનપુર-1 ખાતે લાભાર્થીઓને તથા સગર્ભા – ધાત્રી માતાઓને ગર્ભાવસ્થા અને બાળકના જન્મ પછીના પ્રથમ 1000 દિવસનું મહત્વ, પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં લાભાર્થી મોડ્યુલ અંગે, SAM અને MAM બાળકોનું વ્યવસ્થાપન, પોષણ શપથ, ત્રીજા મંગળવાર અંતર્ગત અન્ન પ્રાશન તથા બાળ દિવસની ઉજવણી કરાઈ હતી. ગાયત્રી મંદિર પાલનપુરના સહયોગથી પાલનપુર શહેરના 200થી વધારે સગર્ભા માતાના ગર્ભ સંસ્કારનું આયોજન કરાયું હતું. જેમાં સગર્ભા માતાઓને જીવનના પ્રથમ 1000 દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવા બાબતે માર્ગદર્શન અપાયું હતું.
પોષણ અભિયાન અંતર્ગત જિલ્લાની વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકને આયર્નની સીરપ, વિટામિન A, કૃમીની ગોળી આપવા, તેમજ ઘરમાં બનતી વાનગીમાં THRનો નિયમિત ઉપયોગ કરવા, નજીકના આંગણવાડી કેન્દ્રમાં બાળકને લઈ જઈ સમયસર વજન અને ઊંચાઈ કરાવવા, જેથી બાળકનો વૃદ્ધિ વિકાસ થયો છે તે જાણી શકાય તેવી સમજ વાલીઓને આપવામાં આવી હતી.


