SIR ઇ-રોલમાં તમારું નામ સર્ચ કરવા નવી સુવિધા શરૂ કરાઈ
(જી.એન.એસ),તા.૨૭
અમદાવાદ
ભારતીય ચૂંટણી પંચે (ECI) મતદાતાઓને સરળતા પ્રદાન કરવા અને તાજેતરમાં ચાલી રહેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) માં ચોકસાઈ લાવવા માટે તેના મતદાતા સેવા પોર્ટલ (voters.eci.gov.in) પર એક મહત્ત્વપૂર્ણ સુવિધા શરૂ કરી છે. ‘છેલ્લા SIR (Special Intensive Revision) ઇ-રોલમાં તમારું નામ સર્ચ’ (Search Your Name in Last SIR) હેઠળ શરૂ કરાયેલી આ નવી સુવિધા દ્વારા મતદારો હવે 2002ના છેલ્લા SIR ઇ-રોલમાં પોતાનું નામ અથવા તેમના સંબંધીઓનું નામ સરળતાથી ચકાસી શકશે. માહિતીની ચકાસણીમાં મદદરૂપ: આ સેવા નાગરિકોને તેમની જૂની મતદાર નોંધણીની વિગતો ચકાસવામાં મદદ કરશે, જે વર્તમાન ચાલુ મતદાર યાદીની પ્રક્રિયાઓમાં વધારે ચોકસાઈ લાવવામાં ઉપયોગી થશે. સરળ સર્ચ ઓપ્શન: મતદારો ફક્ત રાજ્ય, પોતાનું નામ, સંબંધીનું નામ અને તેમની સાથેનો સંબંધ (પિતા, માતા, પતિ/પત્ની) જેવી ઓછામાં ઓછી વિગતો દ્વારા સર્ચ કરી શકે છે. અન્ય વિગતો જેમ કે જિલ્લો, વિધાનસભા મતવિસ્તાર (AC) અને પોલિંગ સ્ટેશન વૈકલ્પિક છે. દેશભરમાંથી સર્ચ કરી શકાશે: આ નવી સુવિધા હેઠળ મતદારો હવે ફક્ત પોતાના રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ગમે ત્યાંથી તેમના નામને સર્ચ કરી શકે છે.
મતદાતાઓને સચોટ નામથી પરિણામ ન મળે તો નામની જોડણીના વિવિધ રૂપાંતરણો (different variations of names)નો ઉપયોગ કરીને પ્રયાસ કરવો (ઉદાહરણ તરીકે, ‘Maneesh’ માટે ‘Manish’) જોઈએ અથવા જિલ્લા, AC અને ભાગ જેવી વધારાની માહિતી ભરીને ફરીથી પ્રયત્ન કરવો. ચૂંટણી પંચે તમામ નાગરિકોને તેમની માહિતીની ચકાસણી કરવા માટે આ સુવિધાનો ઉપયોગ કરવા અપીલ કરી છે. અમદાવાદ જિલ્લામાં ખાસ સઘન મતદારયાદી સુધારણા (SIR) ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 62.59 લાખ મતદારોમાંથી 70 ટકાથી વધુની વિગતોનું ડિજિટાઇઝેશન થઈ ચૂક્યું છે. જ્યારે જે મતદારો હજી સુધી કોઈ કારણસર જમા કરાવી શક્યા નથી, તેમના માટે તમામ વિધાનસભા મતવિસ્તારોમાં આગામી તા. 29 અને 30 નવેમ્બર એમ બે દિવસ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર-જિલ્લાના તમામ મતદારોને તેમના બાકી રહેલા ફોર્મ્સ તાત્કાલિક ભરીને BLOને પરત જમા કરાવવા અને આ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરી છે. જેથી મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશની આ કામગીરી સ્વચ્છ, ક્ષતિરહિત અને પારદર્શક બની રહે અને મતદારો પોતાના ફોર્મ એક જ સ્થળે જમા કરાવી શકે તે માટે જિલ્લાના તમામ મતવિસ્તારોમાં નિયત સ્થળોએ શનિવાર તા. 29 નવેમ્બરના રોજ બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી અને રવિવાર તા. 30 નવેમ્બરના રોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા દરમિયાન ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મતદારો પોતાના એન્યુમરેશન ફોર્મ જમા કરાવવાની સાથે ભારતીય ચૂંટણી પંચ દ્વારા માન્ય પુરાવાઓ પણ સ્વેચ્છાએ રજૂ કરી શકશે. જે મતદારયાદીની ચોકસાઈ વધારવામાં મદદરૂપ થશે.

