1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દોષી ઠેરવ્યા

(જી.એન.એસ) તા. 12

નવી દિલ્હી,

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ૧૯૮૪ના શીખ રમખાણો કેસમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા છે. હવે સજા પર ચર્ચા 18 ફેબ્રુઆરીએ થશે. ૧૯૮૪માં શીખ વિરોધી રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યાના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા હતા. ૧ નવેમ્બર ૧૯૮૪ના રોજ સરસ્વતી વિહારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા કરવામાં આવી હતી.

સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા અને સજા પર દલીલો માટે 18 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી. સજા સંભળાવવા માટે સજ્જન કુમારને તિહાર જેલમાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ હત્યા કેસમાં, પંજાબી બાગ પોલીસ સ્ટેશને શરૂઆતમાં કેસ નોંધ્યો હતો, પરંતુ બાદમાં એક વિશેષ તપાસ ટીમ (SIT) એ તપાસ હાથ ધરી હતી. ૧૬ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ, કોર્ટે આ કેસમાં કુમાર વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા અને તેમની સામે “પ્રાથમિક દ્રષ્ટિએ” કેસ હોવાનું જણાયું હતું. ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાનો બદલો લેવા માટે ઘાતક શસ્ત્રોથી સજ્જ એક મોટા ટોળાએ શીખોની સંપત્તિનો મોટા પાયે લૂંટફાટ, આગચંપી અને નાશ કર્યો હતો. આ મામલે જસવંત સિંહની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી.

આ સમગ્ર મામલાની વાત કરીએ તો, તા. ૧ નવેમ્બર ૧૯૮૪ના રોજ, સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યાની વચ્ચે, તોફાનીઓના ટોળાએ પીડિતોના ઘર પર લોખંડના સળિયા અને લાકડીઓ વડે હુમલો કર્યો. ફરિયાદીઓના જણાવ્યા મુજબ, ટોળાનું નેતૃત્વ તત્કાલીન કોંગ્રેસના સાંસદ સજ્જન કુમાર કરી રહ્યા હતા, જે તે સમયે બાહ્ય દિલ્હી લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે સજ્જન કુમારે ટોળાને હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા, જેના પગલે બંને શીખોને તેમના ઘરમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ટોળાએ ઘરમાં તોડફોડ, લૂંટફાટ અને આગ લગાવી દીધી.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *