(જી.એન.એસ) તા. ૫
ગાંધીનગર,

હોળી અને ધૂળેટીના પર્વ દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કરવામાં આવેલું એક્સ્ટ્રા બસ સંચાલન ખૂબ જ સફળ રહ્યું હતું. ચાલુ વર્ષે નિગમે ગત વર્ષના તમામ રેકોર્ડ તોડી મુસાફરોને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડી છે. નિગમ દ્વારા આ વર્ષે ૭૪૦૦થી વધુ વધારાની ટ્રીપ દ્વારા ૩.૧૪ લાખ મુસાફરોને સલામત પરિવહન સેવા પૂરી પાડવામાં આવી છે.
હોળી-ધૂળેટીના પર્વ પર જ્યારે નાગરીકો પોતાના વતન અને પરિવાર સાથે ઉત્સવ મનાવવા આતુર હોય છે, ત્યારે એસ.ટી. નિગમ તેમની ખુશીમાં સાથીદાર બન્યું છે. તા. ૨૭ ફેબ્રુઆરીથી તા. ૦૪ માર્ચ ૨૦૨૬ દરમિયાન નિગમ દ્વારા કુલ ૭૪૦૦ જેટલી વધારાની ટ્રીપનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું. આ વિશેષ સંચાલન દ્વારા રાજ્યના અંદાજે ૩.૧૪ લાખ મુસાફરોએ એસ.ટી. નિગમની સેવાનો લાભ લીધો છે.
હોળીના પર્વ પર ડાકોર રણછોડરાયજીના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી, નિગમ દ્વારા ડાકોર ખાતેથી સૌથી વધુ સંચાલન કરવામાં આવ્યું હતું. રણછોડરાયજીના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ ૩૬૦૦ ટ્રીપ ચલાવવામાં આવી હતી, જેના દ્વારા ૧.૩૨ લાખ દર્શનાર્થીઓને પરિવહન સેવા પૂરી પાડવામાં આવી.
ગત વર્ષે નિગમ દ્વારા ૭૧૦૦ ટ્રીપ ચલાવીને ૨.૮૦ લાખ મુસાફરોને સેવા આપવામાં આવી હતી. જેની સરખામણીએ આ વર્ષે ટ્રીપની સંખ્યામાં અને મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે એસ.ટી. નિગમની કાર્યક્ષમતા દર્શાવે છે.
મુસાફરોના ભારે ધસારાને ધ્યાને રાખી મુખ્ય શહેરો ખાતેથી વિશેષ ટ્રીપનું સંચાલન કરાયું હતું. જેમાં અમદાવાદથી ૬૮૭ ટ્રીપ, હિમતનગરથી ૭૧૬ ટ્રીપ, સુરતથી ૪૯૬ ટ્રીપ, વડોદરાથી ૨૫૫ ટ્રીપ, જુનાગઢથી ૨૨૦ ટ્રીપ, રાજકોટથી ૧૩૧ ટ્રીપ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દાહોદ, ગોધરા, દેવગઢ બારિયા, સંતરામપુર અને લુણાવાડા જેવા મહત્વના કેન્દ્રો પરથી પણ પૂરતી સંખ્યામાં બસો દોડાવવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ સફળ આયોજન બદલ એસ.ટી. નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કરીને ડ્રાઈવર-કંડકટરશ્રીઓને અભિનંદન પાઠવ્યા છે અને જણાવ્યું છે કે, રાજ્ય સરકાર નાગરિકોને તહેવારો દરમિયાન કોઈ પણ અગવડ વિના સલામત અને સમયસર પરિવહન સેવા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.

