સુરતમાં ફિઝિયોથેરાપી ડૉક્ટરની આત્મહત્યાની ઘટનામાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો


(જી.એન.એસ) તા. ૨૩

સુરત,

થોડા દિવસ અગાઉ શહેરના સરથાણા વિસ્તારમાં શુક્રવારે બનેલી ફિઝિયોથેરાપી ડૉક્ટર રાધિકા કોટડીયાની આત્મહત્યાની ઘટનામાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન મૃતક ડૉક્ટર અને તેમના મંગેતર વચ્ચેની વોટ્સએપ ચેટ સામે આવી છે, જે આત્મહત્યા પાછળના કારણો તરફ ઈશારો કરી રહી છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ડૉ. રાધિકા અને તેમના મંગેતર કિશન વચ્ચેની વોટ્સએપ ચેટ મળી આવી છે. આ ચેટમાં રાધિકાએ કિશનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, નાની-નાની બાબત વિશે પેરેન્ટ્સને ન કહેવાય.

પ્રાથમિક તપાસ અને ચેટ પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, મંગેતર કિશન દ્વારા નાની-નાની વાતોમાં પણ પરિવારજનોને જાણ કરવામાં આવતી હતી, જેને કારણે રાધિકા સતત તણાવ અનુભવી રહી હતી. બંને વચ્ચે આવી નાની બાબતોને લઈને અવારનવાર ઝઘડા પણ થતા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની સઘન તપાસમાં એક હચમચાવી દેનારી વિગત પણ બહાર આવી છે. 28 વર્ષીય ડૉ. રાધિકાએ બિલ્ડિંગના નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી તે પહેલાં એક કાફેમાં બેસીને ઝેરી દવાનું સેવન કર્યું હતું. જોકે, શરીરમાં ઝેરની પૂરેપૂરી અસર થાય તે પહેલાં જ તેણે નવમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મૃત્યુનું સચોટ કારણ અને ઝેરની માત્રા જાણવા માટે ડૉક્ટરના વિસેરાના સેમ્પલ લેવામાં આવ્યા છે.

ડૉ. રાધિકાના લગ્ન આગામી 19 ફેબ્રુઆરીના રોજ મંગેતર કિશન સાથે થવાના હતા. લગ્નની તૈયારીઓ વચ્ચે જ શુક્રવારે (21 નવેમ્બર) સરથાણા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ બંને પરિવારોમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.

આ કેસમાં હાલ પોલીસે ડૉ. રાધિકાના મોબાઈલ ડેટા અને વોટ્સએપ ચેટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે મૃતકના પરિવારજનો અને મંગેતર કિશનની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેથી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *