ગુજરાતના ગીર ક્ષેત્રના ચાહકો માટે ખુશીની ખબર
10 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ લેશે મુલાકાત
(જી.એન.એસ) તા. 7
જુનાગઢ,
સમગ્ર દેશ અને ગુજરાતના પ્રખ્યાત ગીર ક્ષેત્રના ચાહકો માટે ખુશીની સમાચાર આવ્યા છે, ગીર જંગલ સફારીની ફરીથી શરૂઆત થઇ ચુકી છે. મંગળવારથી સાસણ જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન 4 માસ માટે જંગલ સફારી બંધ રાખવામાં આવે છે. પરંતુ આ વખતે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના આગમનને ધ્યાને લઈ જંગલ સફારી 9 દિવસ પહેલાં ખોલી દેવામાં આવી છે. 3 દિવસ બાદ રાષ્ટ્રપતિ આ જંગલની સફર કરવાના છે. જેને લઇ વન વિભાગે શાનદાર આયોજન કર્યું છે. રસ્તાઓ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી છે.

ગીરના ઈતિહાસમાં પ્રથમવાર ચાર માસને બદલે અગાઉ જંગલ સફારી ખુલ્લી મુકવામાં આવી રહી છે. જંગલ સફારીનું આવતીકાલથી દિવાળી વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધીનું મોટાભાગનું બુકિંગ ફુલ થઈ ગયું છે. જો કે રાષ્ટ્રપતિના આગમન દરમ્યાન બે દિવસનું ઓનલાઈન બુકિંગ બંધ રાખવામાં આવ્યું છે. જંગલ સફારી શરૂ થતા ગુજરાત સહિત ઓડિશા અને મહારાષ્ટ્રના પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
આ સફારીમાં પ્રવાસીઓએ સિંહ, દીપડા, જુદા-જુદા પક્ષીઓ, ઝરણા અને પ્રકૃતિના મનમોહક દ્રશ્યો નિહાળી અનોખો અનુભવ મેળવ્યો. સાસણ જંગલ સફારીને DCF અને સ્થાનિક સરપંચે લીલી ઝંડી આપીને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યું. ત્યારે, પ્રવાસીઓએ પ્રથમ ટ્રીપમાં જ કુદરતી સૌંદર્ય અને વન્યજીવનનો ભરપૂર આનંદ માણ્યો. આ સ્થળ એશિયાટિક લાયન જોવા માટે દુનિયામાં એકમાત્ર સ્થળ છે.જ્યાં, લોકોને એક યાદગાર અનુભવ થાય છે.
ઉલ્લેખનીય છે,દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો સિંહ દર્શન માટે આવે છે. જોકે, ચોમાસાની સિઝનમાં સિંહોના મેટીંગ પિરીયડનો સમય હોય છે. ત્યારે આ રોયલ પ્રાણીને કોઇ ખલેલ ન પડે તે માટે સિંહોનું વેકેશન રખાય છે.

