(જી.એન.એસ) તા. 17
અમદાવાદ,
છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી ત્યારે હવે રાજ્યમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. શરૂઆતમાં જ મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરી છે. રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે.
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે 7 જળાશયો હાઈએલર્ટ પર મુકાયા છે. રાજ્યના 6 જળાશય 100 ટકા ભરાયા છે. ધાતરવાડી, સુરજવાડી, રોજકી જળાશય હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. બગડ, રંગોડા, ધોળીધજા, મલાણ જળાશય હાઇએલર્ટ પર છે. તો ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે. અમરેલીમાં 80, બોટાદમાં 40 લોકોનું સ્થળાંતર કરાયુ છે. અત્યાર સુધીમાં કુલ 109 લોકોના રેસ્ક્યુ કરાયા છે. NDRFની 5 ટીમ ડિપ્લોય, 10 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં ધોધમાર વરસાદ પડી ચૂક્યો છે. આ પૈકી સૌથી વધુ ગઢડામાં 14 ઇંચ, પાલીતાણામાં 12 ઇંચ, સિહોરમાં 11.6 ઇંચ, બોટાદમાં 11 ઇંચ, ઉમરાળામાં 10.4 ઇંચ, જેસરમાં 11 ઈંચ, મહુવામાં 9 ઈંચ અને રાજુલામાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને કારણે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા ગામમાં ત્રણ મકાનો ધરાશાયી થયા. સંખેડાના ઝવેરી વાગા વિસ્તારમાં એક પછી એક ત્રણ જૂના મકાનો ધરાશાયી થયા, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘરના કાટમાળ નીચે દબાઈ જવાથી બહાર પાર્ક કરેલી કારને ભારે નુકસાન થયું છે. સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે કાર્યરત છે. ગઈકાલે સાંજે 5 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી ગુજરાતના બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગઢડામાં 14 ઇંચ નોંધાયો હતો. બોટાદમાં સાડા સાત ઇંચ, રાણપુરમાં અઢી ઇંચ અને બરવાલામાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો.
ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મેઘ મહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી. ભારે વરસાદને લઈને હવે શાળાઓને લઈને મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અતિભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને બુધવારે (18 જૂન) શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ભાવનગરના જિલ્લા કલેક્ટકર ડૉ. મનીષ બંસલે માહિતી આપી કે, ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે, 18 જૂન 2025ના દિવસે તમામ શાળાઓમાં (જેમાં પ્રિ-પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીનો સમાવેશ થાય છે) રજા જાહેર કરવામાં આવે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને અપીલ છે કે, આવતી કાલે તમામ શાળા બંધ રાખવામાં આવશે. આ નિર્દેશ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે.
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભૂતિયા ગામ નજીક ભૂતિયા અને શેત્રુંજી ડેમને જોડતો કોઝવે તૂટી ગયો. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજીની જૂની પાઈપલાઈન પણ તૂટી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ભાવનગરના વલ્લભીપુર તાલુકાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી આસપાસના ગામડાઓમાં ઘૂસી ગયા હતા. જેના કારણે નવાગામ, લોલિયાના, હાલિયાદ અને ખેતાટીંબી સહિતના ગામડાઓનો તાલુકા સાથેનો સંપર્ક તૂટ્યો છે. નવા નીર આવવાથી નદીની આસપાસના ગામડાઓને ઍલર્ટ કરી દેવાયા છે.
અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. તેવામાં સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.


