વિખૂટા પડેલા પરિવારનું સુરક્ષિત મિલન કરાવતું ગાંધીનગર ‘સખી વન સ્ટોપ સેન્ટર’


(જી.એન.એસ) તા. ૨૬

ગાંધીનગર,

જ્યારે માનસિક અસ્વસ્થતાને કારણે એક માતા રસ્તો ભટકી ગઈ, ત્યારે સખી વન સ્ટોપ સેન્ટર તેના માટે આશાનું કિરણ બન્યું

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કાર્યરત ‘વન સ્ટોપ સેન્ટર’ યોજના મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગાંધીનગરના સિવિલ હોસ્પિટલ કેમ્પસ ,સેક્ટર-૧૨ ખાતે આવેલું સખી વન સ્ટોપ સેન્ટર માત્ર આશ્રય જ નહીં, પરંતુ તૂટતા પરિવારોને જોડવાનું પણ ઉમદા કાર્ય કરી રહ્યું છે. આવી જ એક ઘટના તાજેતરમાં ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સામે આવી.

મધ્યરાત્રિના સમયે ‘૧૮૧ અભયમ’ મહિલા હેલ્પલાઇન દ્વારા એક ૨૫ વર્ષની અજાણી મહિલાને તેના એક વર્ષના માસૂમ બાળક સાથે સેન્ટર પર લાવવામાં આવી. મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી તે પોતાનું સરનામું કે અન્ય કોઈ વિગતો આપી શકતી નહોતી. તે માત્ર પોતાના અને તેના બાળકોના નામ બોલી શકતી હતી. આવી સ્થિતિમાં તેના પરિવાર સુધી પહોંચવું એ સેન્ટરના સ્ટાફ માટે એક મોટો પડકાર હતો.

સેન્ટરના કાઉન્સેલર અને સ્ટાફ દ્વારા મહિલા સાથે અત્યંત ધીરજપૂર્વક અને સહાનુભૂતિભર્યું વર્તન કરવામાં આવ્યું. વારંવારના પરામર્શ દરમિયાન મહિલાએ એક મહત્વની કડી આપી કે, તેમનું એક મોટું બાળક દાહોદ જિલ્લાના પિયરના ગામની સરકારી શાળામાં ધોરણ-૧ માં અભ્યાસ કરે છે.

આ નાનકડી માહિતીના આધારે સખી સેન્ટરના સ્ટાફે તુરંત જ દાહોદની તે શાળાના આચાર્યશ્રીનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો. આચાર્યશ્રીના સહકારથી મહિલાનો ફોટો મોકલી તેની ઓળખની પુષ્ટિ કરવામાં આવી. આખરે તેના પિયર અને સાસરી પક્ષ સુધી સંદેશો પહોંચાડવામાં સફળતા મળી હતી.

માહિતી મળતા જ મહિલાના પતિ અને ભાઈ તાત્કાલિક ગાંધીનગર સેન્ટર ખાતે પહોંચ્યા. તેમણે જણાવ્યું કે તેઓ મજૂરી અર્થે અમદાવાદમાં રહે છે, અને આ મહિલા છેલ્લા બે દિવસથી ઘરેથી ગુમ થઈ ગઈ હતી. મહિલાની માનસિક બીમારીની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું‌. પોતાની પત્ની અને બાળકને સુરક્ષિત હાલતમાં જોઈને પરિવારની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.
સેન્ટર દ્વારા માત્ર મિલન જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે મહિલાના પતિને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. તેને સમજાવવામાં આવ્યું કે, માનસિક બીમારીમાં દવાઓ નિયમિત લેવી કેટલી જરૂરી છે.

સખી વન સ્ટોપ સેન્ટર, ગાંધીનગરની આ કામગીરી દર્શાવે છે કે, જો સંવેદનશીલતા અને સમયસૂચકતા સાથે કામ કરવામાં આવે, તો કોઈપણ વિકટ પરિસ્થિતિમાં રસ્તો કાઢી શકાય છે. એક માનસિક બીમાર મહિલાને રઝળતી બચાવી તેના પરિવાર સાથે મેળવીને સેન્ટરે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *