શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માટે આખો પંથક હીબકે ચઢ્યો
(જી.એન.એસ) તા. ૫
બનાસકાંઠા,
પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલ બિકાનેર નજીક ગત 2જી નવેમ્બરે ચાલુ ટ્રેનમાં ઘાતકી હત્યાનો ભોગ બનેલા વડગામના સેનાના જવાન જિજ્ઞેશ ચૌધરીના પાર્થિવ દેહને આજે તેમના માદરે વતન બનાસકાંઠા જિલ્લાના વડગામના મોટી ગીડાસણ ખાતે લાવવામાં આવ્યો હતો. શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માટે આખો પંથક હીબકે ચઢ્યો હતો. આજે તેમના પાર્થિવ દેહને વતન લવાતા છાપી ગામથી તેમના વતન મોટી ગીડાસણ સુધી શહીદ જવાનની અંતિમ યાત્રા યોજાઈ હતી. આ અંતિમ યાત્રામાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
વડગામના મોટી ગીડાસણ ખાતે શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંતિમ વિદાય વખતે પરિવારજનોના ભારે આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પરિવારના કલ્પાંતથી ત્યાં હાજર સૌકોઈની આંખો છલકાઈ હતી. સમગ્ર પંથકમાં દેશભક્તિના માહોલ વચ્ચે શોકનો માતમ છવાયો હતો.

અંતિમ યાત્રામાં હાજર લોકોએ આક્રોશ સાથે હત્યારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી કડકમાં કડક સજા આપવાની માગ કરી હતી. લોકોએ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠાવી હતી.
ઉલ્લેખનીય છે કે, શહીદ જવાન જીગર ચૌધરી છેલ્લાં 12 વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા અને તાજેતરમાં જમ્મુના ઉધમપુરમાં તૈનાત હતા. રવિવારે રજા મળ્યા બાદ તેઓ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ પોતાના વતન આવી રહ્યા હતા ત્યારે આ દુઃખદ ઘટના બની હતી.
સમગ્ર ઘટના ની વાત કરીએ તો, બનાસકાંઠા જિલ્લાના વડગામના મોટી ગીડાસણના રહેવાસી જવાન જીગર ચૌધરી સાબરમતી એક્સપ્રેસમાં વતન આવી રહ્યા હતા. ત્યારે કોચમાં વિવાદ દરમિયાન કોચ એટેન્ડન્ટે જવાન પર છરી વડે હુમલો કર્યો હતો. લુંકરનસર અને બિકાનેર વચ્ચે ચાલતી ટ્રેનમાં બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સૈનિકને તાત્કાલિક પીબીએમ ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો, જ્યાં પહોંચતા પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. જીઆરપી સીઆઈ આનંદ ગિલાએ જણાવ્યું હતું કે ‘આ ઘટના બીજી નવેમ્બરે બની હતી. આ ઘટના રાત્રે 11 વાગ્યાની આસપાસ ગુજરાતથી સાબરમતી ટ્રેનમાં બની હતી, જે લોંકણ રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. ગુજરાતના રહેવાસી સૈનિક જીગર કુમાર અને કોચ એટેન્ડન્ટ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ, એટેન્ડન્ટે જવાન પર છરી વડે હુમલો કર્યો, જેના પરિણામે તેનું મોત નિપજ્યું. આ મામલે એટેન્ડન્ટની અટકાયત કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.’

