રાષ્ટ્રીય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતનું દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩ ટકા યોગદાન: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત

રાષ્ટ્રીય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતનું દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩ ટકા યોગદાન: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત


(જી.એન.એસ) તા. 27

ગાંધીનગર,

:: મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત::

વડાપ્રધાન શ્રી મોદીએ શરૂ કરેલી ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે

       વાઇબ્રન્ટ ગુજરાત જેવી વૈશ્વિક ઈવેન્ટથી વિશ્વના રોકાણકારો, ઉદ્યોગકારો અને મલ્ટીનેશનલ કંપનીઓનું ધ્યાન ગુજરાત તરફ આકર્ષાયુ

      છલોછલ સરકારની છલોછલ કામગીરીનું પ્રતિબિંબ રાજ્યપાલશ્રીના પ્રવચનમાં છલોછલ દેખાયું

વિધાનસભા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સંબોધન માટે આભાર પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દુરંદેશી વિચારધારાના પરિણામે વર્ષ ૨૦૦૩થી ગુજરાતની વણથંભી વિકાસયાત્રા શરૂ થઇ હતી. જેને સરળ, મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ રાજ્ય સરકાર તેજ ગતિથી આગળ વધારી રહી છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને વરેલી રાજ્ય સરકારે આરોગ્ય, શિક્ષણ, આંતર માળખાકીય સુવિધાઓ, ઔદ્યોગિક, નીતિગત, સામાજિક જેવા તમામ ક્ષેત્રોમાં ઐતિહાસિક અને પરિવર્તનશીલ કામગીરી તેમજ જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા લોકહિતના અનેક કામો કરી રહી છે.

ઉદ્યોગ મંત્રીશ્રી રાજપુતે જણાવ્યું કે, ગુજરાતે તમામ બાબતોમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગ્રેસર રહી વિશ્વ ફલક ઉપર પોતાની અલગ ભાત ઉભી કરી છે. રાજય એક તરફ ઔદ્યોગિક વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે, તો બીજી તરફ રોજગારીની નવી તકો ઉભી થઇ રહી છે. ભારતની માત્ર ૫ ટકા વસ્તી ધરાવતું ગુજરાત હવે દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩ ટકાનું યોગદાન આપી રહ્યું છે.

ઉદ્યોગ મંત્રીશ્રીએ કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ વર્ષ ૨૦૦૩ થી ૨૦૧૩ સુધી ગુજરાતમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ. તેમના બહોળા સામાજિક અનુભવ, વહીવટી કુશળતા, સંશાધનોનો યોગ્ય ઉપયોગ કરવાની આવડત અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને કારણે છેવાડાના માનવી સુધી વિકાસની તકો પહોંચી છે.

આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ, વન મહોત્સવ, કૃષિ મહોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ, નિર્મળ ગુજરાત જ્યોતિર્ગ્રામ યોજના, ખેલ મહાકુંભ, સુજલામ-સુફલામ યોજના, વનબંધુ કલ્યાણ યોજના અને બેટી બચાવો-બેટી પઢાવો જેવી અનેક ઐતિહાસિક પહેલોના કારણે ગુજરાતમાં મહત્વપૂર્ણ પરિવર્તનો જોવા મળી રહ્યા છે. જેના પરિણામે અન્ય રાજ્યોનું ધ્યાન પણ ગુજરાત તરફ આકર્ષાયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વાઇબ્રન્ટ ગુજરાતના આયોજન વિશે જણાવતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં રહેલી વિકાસની વિશાળ તકના પરિણામે વિશ્વના રોકાણકારો, ઉદ્યોગકારો અને મલ્ટીનેશનલ કંપનીઓનું ધ્યાન ગુજરાત તરફ આકર્ષાયુ છે. ગુજરાતના વિકાસ માટે યોજનાઓની સાથે-સાથે નીતિગત સુધારાઓ, માળખાગત સુવિધાઓ અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગના લીધે ઇચ્છીત લક્ષ્યાંક પ્રાપ્ત થયાં છે.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી છેલ્લા દોઢ દાયકાથી ભારતને વિકસિત અને સમૃદ્ધ દેશ બનાવવાની દિશામાં દિવસ-રાત અથાગ મહેનત કરી રહ્યાં છે. ગુજરાતથી શરૂ થયેલી વિકાસયાત્રાને ભારતના પ્રત્યેક રાજ્ય-નાગરિક સુધી પહોંચાડી “વિકસિત અને આત્મનિર્ભર ભારત” બનાવવાનો માર્ગ મોકળો થયો છે. જનધન યોજના, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત મિશન, મુદ્રા, ઉજાલા, ઉજ્જવલા યોજના, સ્માર્ટ સિટી મિશન, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા જેવી અનેક લોકકલ્યાણકારી યોજનાઓના પરિણામે નાગરિકોના જીવનધોરણ સુધર્યા અને જનસામાન્યની સ્થિતિમાં ઐતિહાસિક પરિવર્તનો આવ્યાં છે.

ભવિષ્યના વિકસિત ભારત માટે ઉત્તમ માનવ સંશાધન તૈયાર કરવા માટે ગુજરાતમાં ચોક્કસ ક્ષેત્રો માટે વિશિષ્ટ અભ્યાસક્રમો ચલાવતી યુનિવર્સિટીઓ જેવી કે, રક્ષાશક્તિ યુનિવર્સિટી, પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી, લકુલિશ યોગ યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જેવી અનેક ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, આધુનિક સમયમાં વપરાતી ટેકનોલોજીના અભ્યાસક્રમોથી યુવાનોને સજ્જ કરવામાં આવે છે. જીવનનિર્વાહની સાથે ઉચ્ચ કૌશલ્ય દ્વારા વધુ આવક પ્રાપ્ત કરી શકે તે માટે સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરી ગુજરાતે એક નવી પહેલ કરી છે. આ યુનિવર્સિટીમાં એ.આઇ., ડ્રોન, માનવ સંશાધન, મેનેજમેન્ટ, ફાઇનાન્સ, કમ્પ્યુટીંગ, હેલ્થકેર, એગ્રીસાયન્સ, મેન્યુફેક્ચરીંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અભ્યાસક્રમોમાં સર્ટીફિકેટ, ડિપ્લોમાં અને ડીગ્રી કોર્ષ ચલાવવામાં આવે છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારત એટલે સોને કી ચીડીયા, જયાં ઘી અને દુધની નદીઓ વહેતી હતી. જયાં ચલણમાં સોનામહોર ચાલતી હતી. નાલંદા, તક્ષશિલા જેવા વિશ્વ વિદ્યાલયો જયાં હતા તેવા સમૃદ્ધ ઐતિહાસિક વારસાને સતત વિદેશી આક્રમણોએ લગભગ ખતમ કરવાના આરે લાવી દીધો હતો. આઝાદી બાદની સરકારોએ પણ તેને બચાવવા ખાસ કાંઇ કર્યુ નહોતું પરંતુ ત્યારબાદ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ આ ઐતિહાસિક વારસાને જળવાઈ રહ્યો છે.

સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય એવુ છે જેને આગામી ૨૫ વર્ષનો વિકાસનો રોડમેપ તૈયાર કરવાનું બીડુ ઝડપ્યું છે. વિકસિત ભારત@૨૦૪૭ના વિઝન હેઠળ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનવાનું લક્ષ્ય રાખ્યું છે.

આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને ૧૯ જેટલા દેશોએ સર્વોચ્ચ સન્માન આપ્યું છે. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર રાજ્યના સર્વાંગી વિકાસના મીઠા ફળ તમામ નાગરિકોને મળી રહે તે માટે સતત અને સખત પરિશ્રમ કરી રહી છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં પાણી છલોછલ, પાક છલોછલ, વીજળી છલોછલ, ઉદ્યોગો છલોછલ, તિજોરી છલોછલ, નાગરિક સુવિધાઓ છલોછલ જેવી અનેક સુવિધાઓ છલોછલ છે. આમ, છલોછલ સરકારની છલોછલ કામગીરીનું પ્રતિબિંબ રાજ્યપાલશ્રીના પ્રવચનમાં છલોછલ દેખાઈ રહ્યું છે ત્યારે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે છલોછલ સમર્થન આપ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *