(જી.એન.એસ) તા. 29
અમદાવાદ,
રાજ્યના પ્રખ્યાત અને જાણીતા મીડિયા હાઉસની વેબપોર્ટલમાં પત્રકાર તરીકે કામ કરતા દિર્ઘાયુ વ્યાસના 10 લાખના તોડકાંડ બાદ તેના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે બુધવારે (29 ઓક્ટોબર) દીર્ઘાયુ વ્યાસે અમદાવાદમાં કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, ત્યારે કોર્ટે આરોપીની ક્રાઇમ બ્રાન્ચને કસ્ટડી સોંપી છે. ક્રાઇમ બ્રાન્ચ આવતીકાલે ગુરુવારે (30 ઓક્ટોબર) દીર્ઘાયુ વ્યાસને કોર્ટમાં રજૂ કરશે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં અરજીનો નિકાલ કરાવી આપવાનું કહીને દિર્ઘાયુ વ્યાસ નામના પત્રકારે 10 લાખ રૂપિયા પડાવી લેવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેમજ દીર્ઘાયુ વ્યાસ સામે નિકોલમાં રિવોલ્વર બતાવીને PSIની ઓળખ આપીને યુવકને ધમકી આપ્યાની ફરિયાદ બાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. દીર્ઘાયુ વ્યાસ સામે અનેક ફરિયાદો નોંધાયા બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જોકે, દિર્ઘાયુએ અમદાવાદ મેટ્રો કોર્ટમાં સરેન્ડર કર્યું છે.
રાજ્યના જાણીતા પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ તોડબાજી, ખંડણી અને ધમકી સહિતની ત્રણ ફરિયાદ નોંધાયા બાદ હજુ 10થી વધુ અરજીઓ પર ક્રાઇમબ્રાંચ અને અન્ય પોલીસ મથકોમાં તપાસ કરવામાં આવી રહી છે. દિર્ઘાયુ વ્યાસનું બીટકોઇન, યુએસડીટી અને ડબ્બા ટ્રેડીંગના નામે કરવામાં આવતા કરોડોના કૌભાંડમાં પણ નામ સામે આવ્યું છે. જે અંગે અરજી મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ, આ કેસમાં એક આઇપીએસના વહીવટદારનું નામ ખુલતા કેટલાંક અધિકારીઓ આ કેસને દબાવવા માટે અરજદાર પર દબાણ કરી રહ્યાનું જાણવા મળ્યું છે.

