પડતર ફરિયાદો-કેસોનો નિકાલ, ક્ષમતાવર્ધન કાર્યક્રમો, મિલકત વ્યવસ્થાપન તથા સેવાઓ આપવામાં ડિજિટલ પહેલ જેવી બાબતોનો સમાવેશ
(જી.એન.એસ) તા. 27
ગાંધીનગર,
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે તા. ૩૧ ઓકટોબરથી ૦૬ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન રાજ્યભરમાં ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ગત તા. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫થી લઈને આગામી તા. ૦૯ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં પડતર ફરિયાદો-કેસોનો નિકાલ, ક્ષમતાવર્ધન કાર્યક્રમો, મિલકત વ્યવસ્થાપન તથા સેવાઓ આપવામાં ડિજિટલ પહેલ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૫’ની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર હસ્તકના તમામ વિભાગો, ખાતાના વડા અને તાબા હેઠળની કચેરીઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો અને સ્થાનિક સત્તા મંડળો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે સત્ય નિષ્ઠાના શપથ, નિવારાત્મક તકેદારી થકી ભ્રષ્ટાચાર સામેની લડતના મહત્વ અંગે સહભાગીદારીથી આયોજન, પડતર ફરિયાદો તથા કેસોનો ખાસ ઝૂંબેશ દ્વારા નિકાલ, નિવારાત્મક તકેદારીના ભાગરૂપે પ્રણાલીગત સુધારા માટે ઝૂંબેશ, સેવાઓ આપવામાં ડિજિટલ પહેલ, તકેદારી અંગે જાગૃતિ, ક્ષમતાવર્ધન તાલીમ તથા મિલકત વ્યવસ્થાપન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
આજના સમયમાં સતર્કતા પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે, જેના થકી આપણે વિવિધ પ્રકારના ગુનાઓને અટકાવીને નાગરિક-સમાજને વધુ સુરક્ષિત બનાવી શકીએ છીએ. આમ, સમાજમાં શાંતિ, સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવી એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી પણ છે.
અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય તકેદારી આયોગ દ્વારા તા. ૨૭ ઓકટોબરથી ૦૨ નવેમ્બર, ૨૦૨૫ સુધી સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૫ની “સતર્કતા: આપણી સહિયારી જવાબદારી”-“Vigilance: Our Shared Responsibility”ની થીમ આધારિત ઉજવણી કરવામાં આવશે, તેમ ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

