રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ


(જી.એન.એસ) તા. 28

ગાંધીનગર/વડોદરા/રાજકોટ,

હાલ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૮૯ ટકા વરસાદ, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં ૮૧.૦૩ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ યાદીમાં વધુમાં જણાવાયું છે કે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૦૩ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૭૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૭૦ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૨૦ ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૧૬ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૧૦૦ ડેમ હાઈ એલર્ટ, ૨૮ ડેમ એલર્ટ તથા ૧૭ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

સતત વરસી રહેલા સાર્વત્રિક વરસાદથી રાજ્યના અનેક જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ઉત્તરથી દક્ષિણ સુધીના ડેમ છલોછલ ભરાઈ ગયા છે, જે આગામી સમય માટે પીવાના પાણી અને સિંચાઈ માટે રાહતરૂપ સાબિત થશે.

દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનો દોર યથાવત્ રહ્યો છે. તાપી જિલ્લાના વ્યારામાં સવારથી પડી રહેલા સતત વરસાદને પગલે કેટલાંક વિસ્તારમાં પાણી ભરાયા હતા. વ્યારાની શબરીધામ શાળાના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ છે. આ તરફ, અરવલ્લીના મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને શામળાજીમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી.

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને ૧૪ હજાર થી વધુ રૂટ ઉપર ૪૦ હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે. ગુજરાતના માછીમારોને તા.૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી દરિયો નહિ ખેડવા IMD દ્વારા જણાવાયું છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *