(જી.એન.એસ) તા. 4
અમદાવાદ,
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે (૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૫) શુક્રવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ટાગોર હોલ, પાલડી-અમદાવાદ ખાતે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા વિશેષ ઉપસ્થિત રહેશે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ આપીને તેમનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ ‘શિક્ષક દિવસ’ નિમિત્તે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા કુલ ૩૦ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવશે.

