(જી.એન.એસ) તા. ૧૨
ગાંધીનગર,
બાંધકામ અને સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ઘર આંગણે પ્રાથમિક આરોગ્ય સેવા સારવાર માટે 50 ધનવંતરી આરોગ્ય રથ અને છ મોબાઇલ મેડિકલવાનના લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગાંધીનગરમાં સંપન્ન
રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ આઈ.ટી.આઈ.માં મોટર મિકેનિક ટ્રેડના 8,000 થી વધુ યુવા તાલીમાર્થીઓ હવે ઇલેક્ટ્રીક વ્હીકલ સંબંધિત નવીન ટેકનોલોજીની તાલીમ મેળવી શકશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર 40 જેટલી ઇલેક્ટ્રીક કારનું વિવિધ જિલ્લાઓની ITI માટે ગાંધીનગરમાં શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં વિતરણ કર્યું હતું.
ઇલેક્ટ્રીક વાહનોના વધતા જતા વ્યાપ અને તે ક્ષેત્રમાં સર્જાનારી રોજગારીની વિપુલ તકોને ધ્યાને રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને તેને અનુરૂપ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટેની કામગીરી હાથ ધરી છે.
ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ઇલેક્ટ્રીક વાહન સેક્ટરમાં બેટરી ટેકનોલોજી, ઇલેક્ટ્રિક પાવરટ્રેન અને એમ્બેડ સોફ્ટવેરમાં નિષ્ણાતોની માંગમાં પણ વધારો થતો જાય છે.
આ સંદર્ભમાં ઉદ્યોગોને સ્કીલ મેનપાવર મળી રહે તે માટે ઓટોમોબાઇલ સેક્ટરના વ્યવસાયોમાં સિલેબસ આધારિત 40 ઇલેક્ટ્રિક કાર આઈ.ટી.આઈને ઉપલબદ્ધ કરાવીને તાલીમાર્થીઓને નવીનતમ ટેકનોલોજી સંબંધિત તાલીમ આપવાનું લક્ષ્ય રાજ્ય સરકારે રાખ્યું છે.
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ ઇલેક્ટ્રીક વાહન તથા તેને સંલગ્ન વ્યવસાયોની પ્રાયોગિક તાલીમમાં સક્ષમ બનીને આત્મનિર્ભરતા કેળવી શકે તે માટે નવીનતમ ટેકનોલોજી મુજબની પ્રેક્ટીકલ તાલીમ ઉપલબ્ધ કરાવવામાં આ 40 ઈલેક્ટ્રીક કાર ઉપયોગી બનશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ 40 ઈ.વી. કાર ઉપરાંત 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઈલ મેડિકલ વાનના લોકાર્પણ પણ કર્યા હતા.
બાંધકામ શ્રમિકો અને સંસ્થાઓના શ્રમયોગીઓ તથા તેમના પરિવારજનોને તેમના ઘર આંગણે પ્રાથમિક તબીબી સારવાર મળી રહે, ગંભીર રોગ થતા અટકે અને તેમનું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી આ ધનવંતરી આરોગ્ય રથમાં તાવ, ઝાડા, ઉલટી, ચામડીના રોગો જેવા સામાન્ય રોગો સહિત પ્રાથમિક ઈજાઓમાં સારવાર તથા પેશાબ, લોહી, બ્લડ, સુગર, મેલેરિયા જેવી લેબોરેટરી તપાસ કરી અપાય છે.
એટલું જ નહિ, બાળકોની તેમજ સગર્ભા મહિલાઓની સગર્ભાવસ્થા દરમિયાન પ્રાથમિક સારવાર આપવા સહિતના વિવિધ નિદાન સ્થળ પર જ કરીને વિના મૂલ્યે જરૂરિયાત મુજબ દવાઓ આપવામાં આવે છે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં 154 ધનવંતરી આરોગ્ય રથ અને ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા 25 મોબાઇલ મેડિકલ વાન સેવારત છે
હવે, નવા લોકાર્પણ થયેલા 54 ધનવંતરી આરોગ્ય રથ અને છ મોબાઇલ મેડિકલવાન સાથે રાજ્યભરના 34 જિલ્લાઓમાં કુલ 206 ધનવંતરી આરોગ્ય રથ અને 31 મોબાઇલ મેડિકલ વાન શ્રમિકોની આરોગ્ય સુરક્ષાના હેતુસર કાર્યરત કરવામાં આવ્યા છે.
આ લોકાર્પણ અવસરે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ શ્રી લોચન સહેરા, રોજગાર અને તાલીમ નિયામક શ્રી નીતિન સાંગવાન, લેબર કમિશનર શ્રી લાખાણી અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

