રાજ્યના જાહેર દેવાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો થતાં વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્યનું જાહેર દેવુ ૧૫.૨૮ ટકા થવાનો અંદાજ, જે ૨૭.૧૦ ટકાની નિયત મર્યાદા કરતાં ધણું ઓછું: નાણાં મંત્રીશ્રી
(જી.એન.એસ) તા. 26
ગાંધીનગર,
રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટેની નાણાં વિભાગની અંદાજપત્રીય માગણીઓ રજૂ કરતાં નાણાં મંત્રી શ્રી દેસાઈએ જણાવ્યું કે રાજ્યનો નાણાં વિભાગ રાજવિત્તીય અધિનિયમ, ૨૦૦૫ના નિયત માપદંડો મુજબ નાણાકીય વ્યવસ્થાપન માટે શિસ્તબદ્ધ રીતે કાર્યરત્ છે. આ માટેના નિયત માપદંડોને અનુસરીને રાજ્યની મહેસૂલી ખાધ ક્રમશઃ નાબૂદ કરીને સુદૃઢ રાજવિત્તીય વ્યવસ્થાતંત્ર અને રાજવિત્તીય સ્થિરતા સુનિશ્ચિત કરવામાં સફળ રહી છે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
નાણાં મંત્રીશ્રીએ કહ્યું કે દેશના જીડીપીમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતું ગુજરાત સૌથી ઝડપથી વિકસતાં રાજ્યોના અર્થતંત્રોમાંનું એક છે. બે દાયકા અગાઉ તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રા સતત આગળ વધી રહી છે. ત્યારે રાજ્યના નાગરિકોને સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક (Living Well & Earning Well) મેળવવાની સાથેસાથે ગુજરાતને એક વિકસિત રાજ્ય બનાવવાનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું વિઝન છે અને રાજ્ય સરકાર સતત આ દિશામાં પ્રયત્નશીલ છે.
રાજ્યના જાહેર દેવા વિશે વાત કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદન-GSDPની સામે જાહેર દેવાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે અને વર્ષ ૨૦૨૫-૨૬માં જાહેર દેવુ ૧૫.૨૮ ટકા રહેવાનો અંદાજ સૂચવવામાં આવ્યો છે. જે ૨૭.૧૦ ટકાની નિયત મર્યાદા કરતાં ધણું જ ઓછું છે.
શ્રી દેસાઈએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને મૂડી રોકાણના પ્રોજેક્ટ્સ માટે ૫૦ વર્ષ માટે વ્યાજમુક્ત લોનના સ્વરૂપમાં રાજ્યોને નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત ચાલું નાણાકીય વર્ષમાં અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ગુજરાતને રૂ.૫૦૨૭ કરોડની સહાય આપવામાં આવી છે. જેના પરિણામે જાહેર દેવા પર વ્યાજની ચૂકવણીના સરેરાશ ખર્ચમાં ઘટાડો નોંધાયો છે.
રાજ્યના એકંદર ધરગથ્થુ ઉત્પાદન તથા આવકના વધારાની છેલ્લાં ૧૦ વર્ષની સાપેક્ષ વિગતો આપતાં મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યમાં નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં જાહેર દેવા પર વ્યાજની ચૂકવણીનો સરેરાશ ખર્ચનો દર ૮.૮૭ ટકા જેટલો હતો. જે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના સુધારેલા અંદાજમાં ૭.૩૬ ટકા જેટલો થવાનો અંદાજ છે. આમ, એકંદર ધરગથ્થુ ઉત્પાદન તથા આવકના વધારાના સાપેક્ષમાં જાહેર દેવાનો દર ઘટ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યના નાણાં વિભાગની નાણાકીય શિસ્ત તથા કાર્યક્ષમતા વિશે વાત કરતાં શ્રી દેસાઈએ કહ્યું કે રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદન-GSDPના પ્રમાણમાં રાજવિત્તીય ખાધ – Fiscal Deficitનું પ્રમાણ વર્ષ ૨૦૨૪-૨૫ના સુધારેલા અંદાજોમાં નિયત મર્યાદા ૩ ટકા સામે ૧.૮૯ ટકા જેટલું નીચું, જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજ મુજબ ૧.૯૬ ટકા જેટલું અંદાજવામાં આવ્યું છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચના ફેબ્રુઆરી ૨૦૨૫ ના રિપોર્ટ મુજબ રાજ્યોના નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આપવામાં આવતી સહાય વિશે માહિતી આપતાં શ્રી દેસાઈએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૪-૨૫માં ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધી રાજ્યમાં લાભાર્થીલક્ષી ૪૧૭ અલગ અલગ યોજનાઓ અંતર્ગત ડીબીટીના માધ્યમથી સહાય આપવામાં આવી છે. તદુપરાંત, વર્ષ દરમિયાન કુલ ૦૯ નવી લાભાર્થીલક્ષી યોજનાઓને ડીબીટી પોર્ટલ પર ઉમેરવામાં આવી છે.
વધુમાં, પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રાજ્યમાં આશરે ૧.૯૨ કરોડ ખાતા ખોલવામાં આવ્યાં છે તેમજ ૧.૪૪ કરોડ રૂ-પે કાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ૫૪ હજાર દાવાઓની ચૂકવણી કરવામાં આવી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજય સરકારની લાભાર્થીલક્ષી યોજનાઓમાં Biometric Aadhaar Authenticationને અમલીકૃત કરવાના ભાગરૂપે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હેઠળ તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધીમાં કુલ ૩.૬૩ કરોડ રેશનકાર્ડ ધારકોનું (NFSA & Non-NFSA) Aadhar આધારિત e-KYC કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત GYAN-ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસ ઉપર વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઈઓ વિશે માહિતી આપતાં નાણાં મંત્રીશ્રીએ જણાવ્યું કે ગત નાણાકીય વર્ષની સામે આગામી વર્ષે અનેક વિભાગોની બજેટ જોગવાઇઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
જે મુજબ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં ૪૨.૫૦ ટકા, શહેરી વિકાસની જોગવાઇઓમાં ૪૦ ટકા, ગ્રામ વિકાસ ક્ષેત્રમાં ૩૦.૫૦ ટકા, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગમાં ૧૬.૩૫ ટકા, પ્રવાસન ક્ષેત્રમાં ૩૦.૯૮ ટકા, ગૃહ વિભાગમાં ૨૧.૯૮ ટકા, જ્યારે વન અને પર્યાવરણ વિભાગમાં ૨૧.૪૧ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે તેમ શ્રી દેસાઈએ ઉમેર્યું હતું.
નાણાં મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારે પણ વિકસિત ગુજરાત @૨૦૪૭નો રોડ મેપ તૈયાર કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આગામી પાંચ વર્ષ માટે રૂ. ૫૦ હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ સૂચવવામાં આવ્યું છે. જે માટે આ વર્ષે રૂ.૫૦૦૦ કરોડની ફાળવણી કરી છે. આ ફંડમાં વિવિધ સ્પેશિયલ ઇકોનોમિક્સ રિજન તથા લોંગ ટર્મ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ જેવા કે હાઇસ્પીડ કોરિડોર, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠા, ઓદ્યોગિક વિકાસ, પ્રવાસન, લોજિસ્ટિક પાર્ક, પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે જેવી વિકાસલક્ષી બાબતો માટે જોગવાઈ રાખવામાં આવી છે.
રાજ્યના કરમાળખા વિશે વાત કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે નાણાં વિભાગ હસ્તકની રાજ્યવેરા કચેરી દ્વારા જી.એસ.ટી., વેટ, ઈલેક્ટ્રિસિટી ડ્યૂટી અને પ્રોફેશનલ ટેક્સના અમલીકરણની અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
જે મુજબ, વર્ષ ૨૦૨૪-૨૫માં આ કાયદાઓ હેઠળ ફેબ્રુઆરી-૨૦૨૫ સુધીમાં આશરે રૂ. ૧ લાખ ૧ હજાર કરોડની આવક થઈ છે. જેની સાપેક્ષે રાજ્યવેરા કચેરીનો ખર્ચ માત્ર રૂ. ૩૨૦ કરોડ થયો છે. આમ, આ આવક સામે થયેલા ખર્ચનો રેશિયો જોતા રાજ્ય સરકારને ૧૦૦ રૂપિયાની આવક મેળવવામાં માત્ર ૩ પૈસાનો ખર્ચ થાય છે. જે નાણાં વિભાગની અને રાજ્યવેરા ખાતાની વહીવટી કુશળતા દર્શાવે છે.
નાણાં મંત્રીશ્રીએ કહ્યું કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને ચરિતાર્થ કરવા ગુજરાત ફેસલેસ અને પારદર્શક સેવા આપવા પ્રતિબધ્ધ છે. રાજ્યવેરા કચેરી હેઠળની મોટાભાગની કામગીરી ફેસલેસ કરાઈ છે. જેમાં નવી નોંધણી, નોંધણીમાં સુધારા-વધારા, રિફંડ માટેની અરજી, માસિક કે વાર્ષિક પત્રકો ભરવા જેવી તમામ કામગીરી ઓનલાઇન કરાઈ છે.
વધુમાં, તેમણે જણાવ્યું કે જીએસટી કચેરીમાં આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી સ્ક્રૂટિની, ઑડિટ અને અન્વેષણ જેવી કામગીરીની પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો થયો છે. આધુનિક ટેકનોલોજી જેવી કે GSTN સિસ્ટમ, ઇ-વે બિલ અંગેની NIC સિસ્ટમ, જીએસટી એનાલિટિક્સ અને ઇન્ટેલિજન્ટ નેટવર્ક વગેરે સોફટવેરનો ઉપયોગ કરી State Tax Execution Monitoring Module પોર્ટલ પર સ્ક્રૂટિની, ઓડિટ અને અન્વેષણ માટેની સચોટ કામગીરી થાય છે.
ગુજરાત રાજ્યનાં અગત્યનાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ તેમજ સ્ટ્રેટેજિક લોકેશન પર મોબાઇલ સ્કવૉડની ટીમની અસરકારક કામગીરીથી સમગ્ર દેશમાં ગુજરાત ઇ-વે બિલ ચકાસણીમાં પ્રથમ ક્રમે છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
નાણા મંત્રીશ્રીએ જણાવ્યું કે જીએસટીના અસરકારક અમલીકરણ અને સરળ, ઝડપી કામગીરીને કારણે ટેક્સ બેઝ વધ્યો છે. જૂન, ૨૦૧૭માં જીએસટીની અમલવારી થઇ તે સમયે રાજ્યમાં કરદાતાઓની સંખ્યામાં ૧૪૫ ટકાથી વધુનો વધારો થવાથી હવે ૧૨,૪૬,૫૮૧ કરદાતા નોંધાયા છે.
વેપારીને જીએસટી રજિસ્ટ્રેશન મેળવવામાં સરળતા રહે તેમજ બોગસ રજિસ્ટ્રેશનની પ્રવૃત્તિને અટકવાના હેતુથી બાયોમેટ્રીક પદ્ધતિથી વેરિફિકેશન કરીને રજિસ્ટ્રેશન આપવા માટે માત્ર ૭૫ દિવસમાં સમગ્ર રાજયમાં આધુનિક કક્ષાના ૧૨ જીએસટી સેવા કેન્દ્રો ઊભા કરાયાં છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતના કરદાતાઓની શિસ્તબદ્ધતા અને વિભાગના સહિયારા પ્રયાસોથી ચાલુ વર્ષે જીએસટી હેઠળ ૧૫ ટકા ગ્રોથરેટથી રાજ્યની આવકમાં વૃદ્ધિ થઇ છે. જીએસટી હેઠળ ફેબ્રુઆરી-૨૦૨૫ સુધીમાં રૂ. ૬૭,૦૭૯ કરોડની આવક થઈ છે.
જીએસટી રિટર્ન ફાઇલિંગમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં નોંધાયેલા કરદાતાઓ પૈકી ૯૯.૬ ટકા કરદાતાઓએ જીએસટી રિટર્ન ફાઇલ કર્યું છે. તાજેતરમાં જીએસટી કાઉન્સિલ સેક્રેટરિયેટ દ્વારા જુદા જુદા પરફોર્મન્સ પેરામીટરને રેન્કીંગમાં વિવિધ નવ જાતના પરફોર્મન્સ પેરામીટરમાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટી કાયદા હેઠળ આપવામાં આવેલી મુખ્ય રાહતો વિશે નાણાં મંત્રીશ્રીએ કહ્યું કે કેન્સરના દર્દીઓનો બોજો હળવો કરવા માટે જીન થેરપી પરનો જીએસટીનો દર ૧૨ ટકા હતો. જેને વેરામુકત કરાયો છે તેમજ કેન્સરની દવાઓ પર વેરાનો દર ૧૨ ટકાથી ઘટાડી ૫ ટકા કરાયો છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સંકલિત નાણાકીય વ્યવસ્થાપન પદ્ધતિ અંતર્ગત ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા મારફત રાજ્યના કરદાતાઓને ટેક્સ ઓનલાઇન ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. IFMS અંતર્ગત તમામ કર્મચારીઓ, પેન્શનરો તથા સંબંધિત લાભાર્થીઓની સરળતા માટે ખાતામાં સીધે સીધી રકમ જમા થાય, તે માટે e-Payment સુવિધાની અમલી છે.
ડિજિટલ ગુજરાત પોર્ટલ સાથે ઇન્ટિગ્રેશન કરી રાજ્યના લગભગ ૫૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ તથા ગણવેશ સહાય સીધા તેઓના ખાતામાં જમા થાય તેમજ સ્કોલરશીપ આધાર બેઝ્ડ થાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે તેમ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું.
વીમા નિયામક કચેરી અંગે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે જનતા જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઇ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ ૪.૪૫ કરોડથી વધુ લાભાર્થીઓને અકસ્માત મૃત્યુના કિસ્સાની સહાયમાં વધારો કરીને રૂપિયા બે થી ચાર લાખ સુધીની કરાઈ છે.
આમ, વિધાનસભા ગૃહ ખાતે નાણાં વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.