મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરેન્દ્રનગરમાં રૂ.૬૯૬.૨૫ કરોડના ૧૨ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરેન્દ્રનગરમાં રૂ.૬૯૬.૨૫ કરોડના ૧૨ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં


સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકાનાં ૫૯ ગામોને પીવા માટે નર્મદાના જળ પૂરા પાડવા રૂ.૧૦૮.૦૪ કરોડના બે કામોના લોકાર્પણ કરાયાં  

(જી.એન.એસ) તા. 31

સુરેન્દ્રનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા રૂ. ૬૬૪ કરોડનાં વિકાસકામો તથા અન્ય વિભાગોના મળીને કુલ રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ વિકાસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આનંદ ભુવન, સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, એક સમયે સુરેન્દ્રનગર–ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર પંથક પાણીની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાનો સંકલ્પ કરીને સૌની યોજના, સુજલામ–સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે.

ગામેગામ પાણી પહોંચાડવાની વડાપ્રધાનશ્રીની નેમને ગુજરાત સરકાર સતત આગળ વધારી રહી હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે, આજે કુલ રૂ. ૬૯૬ કરોડના વિકાસ કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્તમાંથી રૂ. ૬૬૪ કરોડના કામો તો સુરેન્દ્રનગર જિલ્લામાં એકલા પાણી અને સિંચાઈના પાણીની સુવિધા માટેનાં છે.

વડાપ્રધાનશ્રીએ જનશક્તિને જલશક્તિ સાથે જોડીને ગુજરાતમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરી હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, મા નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળતાં ઝાલાવાડની માતાઓ-બહેનોનું જીવન વધુ સરળ બનશે અને ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે. વડાપ્રધાનશ્રીએ સૌની યોજના થકી મા નર્મદાના નીરને સૌરાષ્ટ્ર તરફ વાળીને ખેડુતોની જીંદગી બદલી છે.

તેમણે કહ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઢાંકીમાં નિર્મિત ૨૪ માળ જેટલી ઊંચાઈએ પાણી પમ્પ થાય તેવું એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મક્કમ નિર્ધારનું પરિણામ છે. શ્રી નરેન્દ્રભાઈએ મક્કમતાથી સમગ્ર ગુજરાતનો વિચાર કરીને, પાણી-વીજળી ક્ષેત્રે મજબૂત આયોજનો કર્યાં છે. તેનાં મીઠાં ફળ આપણને મળી રહ્યાં છે. આજે ગુજરાતના ગામેગામે થ્રી — ફેઝ વીજળી પહોંચી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશિતાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સૌની યોજના વડાપ્રધાનશ્રીના વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે. એક તરફ નર્મદાનું લાખો લીટર પાણી દરિયામાં વહી જતું હતું. બીજી બાજું આખું સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત પાણી માટે વલખા મારતું હતું. ત્યારે શ્રી નરેન્દ્રભાઈએ સૌરાષ્ટ્ર-કચ્છના ગામે ગામ સુધી પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો અને નર્મદાના વધારાના પાણી પૈકી એક મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરીને સિંચાઈ વ્યવસ્થા વધુ મજબુત કરવા અને પીવાનું પાણી પહોંચાડવાનું નક્કર આયોજન પાર પાડ્યું છે.

સૌની યોજનાની સફળતાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ પાણીથી સૌરાષ્ટ્રનું જીવન બદલાયું છે. સૌની યોજના ગુજરાતમાં જળ વ્યવસ્થાપન માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે. ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવામાં સૌની યોજના ઉપકારક બની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી આ વિસ્તારો માટે આવેલું પાણી એ પારસમણી અને સમગ્ર ઝાલાવાડ માટે વિકાસની તેજ રફતારનું કારણ બન્યું છે.

ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા દેશની સૈન્ય શક્તિને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂરથી દેશભરમાં રાષ્ટ્રહિત સર્વોપરિની ભાવના સશક્ત થઈ છે અને ઓપરેશન સિંદૂર ૧૪૦ કરોડ ભારત વાસીઓનો મિજાજ બની ગયું છે. 

જળ સંરક્ષણ પર ભાર મુકતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે, પાણી જ વિકાસનો મુખ્ય આધાર છે. પાણીને બચાવવા તેમણે દેશવ્યાપી ‘કેચ ધી રેઇન’ અભિયાન શરૂ કરાવ્યું છે. વર્ષો સુધી પાણીની ભયંકર અછત જોઈ ચૂકેલા સુરેન્દ્રનગરના લોકો તો પાણીની કિંમત સારી રીતે સમજે છે જણાવતા જળ સંચયને જીવનનું અભિન્ન અંગ બનાવવા મુખ્યમંત્રીશ્રીએ આગ્રહ કર્યો હતો. આ સાથે તેમણે એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વૃક્ષો વાવવા, વોકલ ફોર લોકલના મંત્રને અનુસરીને સ્વદેશી વસ્તુઓ ખરીદવા તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા અપીલ કરી હતી.

આ અવસરે રાજ્યના જળસંપત્તિ, પાણી પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, આજનો દિવસ ઐતિહાસિક છે. અગાઉ ધોળીધજા ડેમમાં નર્મદાના નીર પહોંચ્યા હતા એ દિવસ ઐતિહાસિક હતો. આજે સુરેન્દ્રનગર જિલ્લાના પાણીવિહોણા ૧૦૦ જેટલા ગામોમાં પાણી પહોંચાડવાની યોજનાનું ભૂમિપૂજન થયું છે. જેનાથી આ ગામોને સિંચાઈ માટે પાણી મળશે.

સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં અઢી દાયકા અગાઉ પાણીની તંગીના કારણે થતી હાલાકીઓ, સ્થળાંતર અને રઝળપાટનો ઉલ્લેખ કરીને મંત્રીશ્રીએ સૌની યોજનાની પૂર્વભૂમિકાની વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી તેમણે પીવા તથા સિંચાઈના પાણીને પ્રાધાન્ય આપીને જે વ્યવસ્થા ગોઠવી છે, તેના પરિણામરૂપે સૌરાષ્ટ્રના લોકો પાણી ક્ષેત્રે સલામતિ અનુભવી રહ્યા છે. રાજ્યમાં બાકી રહેલા છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મોકળા મને સિંચાઈ, તથા પાણીની યોજનાઓને બજેટમાં મંજૂરી આપી રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશિતાભર્યા આયોજન અને ગુજરાત સરકારના સતત પ્રયાસોના કારણે દુષ્કાળ હવે નામશેષ થતો જાય છે અને રાજ્યમાં હરિયાળી ક્રાંતિ આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે આજે થયેલી ત્રણ મહત્ત્વની યોજનાના ભૂમિપૂજનની વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ યોજનાઓ અંતર્ગત સુરેન્દ્રનગર-મોરબી જિલ્લાની સિંચાઈ યોજના વધુ મજબૂત બને તે માટે પાઈપથી પાણી આપવાનું આયોજન હાથ ધરાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, વઢવાણ અને મુળી તાલુકાના ૪૫ ગામોને રૂ. ૨૯૩.૨૫ કરોડના ખર્ચે ૨૩૫ કિલોમીટર લાંબી પાઈપલાઈન નાંખીને પાણી પહોંચાડવામાં આવશે. ઉપરાંત સાયલા, મુળી, વઢવાણ તાલુકાના ૪૪ ગામોમાં રૂ. ૨૧૮.૧૯ કરોડના ખર્ચે પાઈપલાઈન નાંખીને પાણી પહોંચાડાશે.

ઉપરાંત સરવડા પમ્પિંગ સ્ટેશન બનાવીને, બ્રાહ્મણી-૧માંથી પાણી ઉપાડીને ૬૯ કિ.મી. લાંબી પાઈપલાઈન મારફત મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ૧૧ ગામોના તળાવો ભરવામાં આવશે. જેનાથી ૪૩૩ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. આ યોજના પાછળ રૂ. ૪૦.૮૮ કરોડનો ખર્ચ થવાનો છે. રૂ.૫૫૨ કરોડના ખર્ચે ૧૦૦ કરતા વધુ ગામોમાં સિંચાઈનો લાભ મળશે અને પીવાના પાણીની સમસ્યા હલ થશે. આજ રોજ મુખ્યમંત્રીશ્રીએ પોતાના  સુરેન્દ્રનગર પ્રવાસ દરમિયાન લીમલી ગામ ખાતે નર્મદા, જળસંપત્તિ, પાણી પૂરવઠા વિભાગના રૂ. ૨૧૮ કરોડના ખર્ચે ૪૪ ગામોને સિંચાઈનું પાણી પૂરી પાડવાના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. જ્યાં તકતી અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિથી કળશ પૂજન કર્યું હતું.  આ તકે મુખ્યમંત્રીશ્રીએ રામજી મંદિર તથા શેખવા પીર દાદાના મંદિરે દર્શન કર્યા હતા તથા લીમલી ગામલોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

બાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર પધાર્યા હતા. અહીંથી તેમણે કુલ મળીને રૂ. ૧૧૫.૧૯ કરોડના ત્રણ કામોના ઈ-લોકાર્પણ તથા રૂ. ૫૮૧.૦૬ કરોડના ૯ કામોના ઈ-ખાતમુહૂર્ત કર્યા હતા.

આ અવસરે જળસંપત્તિ વિભાગના સચિવ શ્રી પી. સી. વ્યાસે શાબ્દિક સ્વાગત કરતા કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર. એમ. જાલંધરા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ તકે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્ય કક્ષા વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી કિરીટસિંહ રાણા, શ્રી શામજીભાઈ ચૌહાણ, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી પરસોત્તમભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, શ્રી ધનરાજભાઈ કૈલા, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી આઈ. કે. જાડેજા, શ્રી વર્ષાબેન દોશી, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી મંગળસિંહ પરમાર, શ્રી હરદેવસિંહ પરમાર, શ્રી દશરથસિંહ રાણા સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ, જિલ્લા કલેકટર શ્રી કે. એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગવ્હાણે, રેન્જ આઈ. જી. શ્રી અશોકકુમાર યાદવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડો. ગિરીશ પંડ્યા સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *