મુખ્યમંત્રીશ્રીનાં અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે રામદેવપીરજી ટેકરા મ્યુનિ. શાળાની આંગણવાડીમાં 10, બાલવાટિકામાં 28 અને ધોરણ 1માં 07 ભૂલકાંઓનો શાળા પ્રવેશ કરાવ્યો

મુખ્યમંત્રીશ્રીનાં અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે રામદેવપીરજી ટેકરા મ્યુનિ. શાળાની આંગણવાડીમાં 10, બાલવાટિકામાં 28 અને ધોરણ 1માં 07 ભૂલકાંઓનો શાળા પ્રવેશ કરાવ્યો


શ્રીમતી અવંતિકા સિંઘે રામદેવપીરજી ટેકરાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો, આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી

(જી.એન.એસ) તા. 28

અમદાવાદ,

સમગ્ર રાજ્યમાં આયોજિત ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 અંતર્ગત મુખ્યમંત્રીશ્રીનાં અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે રામદેવપીરજી ટેકરા મ્યુનિ. શાળાની આંગણવાડીમાં 10 બાળકો, બાલવાટિકામાં 28 બાળકો અને ધોરણ 1માં  07 બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનાં અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દ્વારા લોકોમાં જાગૃતિ આવી છે અને સમયાંતરે બાળકોનું શાળામાં ભણવાનું પ્રમાણ વધ્યું છે; ખાસ કરીને દીકરીઓનાં પરિણામમાં સુધારો થયો છે.

શ્રીમતી અવંતિકા સિંઘે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ અમદાવાદમાં કલેકટર હતા તે સમયે રામદેવપીરજી ટેકરા વિસ્તારમાં ખૂબ પાણી ભરાતું હતું અને અને આ વિસ્તારમાં કાચા મકાન હતા. હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આઠ હજાર જેટલા પાકા મકાનો તૈયાર થઈ રહેલા જોઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

શ્રીમતી અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, રક્ષા શક્તિ યોજના, જ્ઞાન શક્તિ યોજના, મુખ્યમંત્રીશ્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના વગેરે ચાલી રહી છે. સરકાર દ્વારા આ યોજનાઓ બાળકોને ધ્યાને રાખીને ચાલુ કરવામાં આવી છે. શ્રીમતી અવંતિકા સિંઘે ઉમેર્યું હતું કે, બાળકોના ઘડતર અને ભણતરમાં સરકાર ખૂબ જ ધ્યાન આપે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિકસિત ગુજરાતની પરિકલ્પના આપણે સાકાર કરવાની છે.

શ્રીમતી અવંતિકા સિંઘે વધુમાં કહ્યું હતું કે, ભૂતકાળમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી થકી પ્રવેશ લીધેલી દીકરીઓ આજે ડૉક્ટર, એન્જિનિયર કે ઑફિસર બની છે. શિક્ષણનો બાળકોના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો છે તેથી બાળકોને શિક્ષણ માટેનું યોગ્ય વાતાવરણ અને માર્ગદર્શન પૂરું પાડવાની જવાબદારી આપણા સૌની છે.

શ્રીમતી અવંતિકા સિંઘ દ્વારા શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. એસ.એમ.સી.ના સભ્યો બાળકોના શિક્ષણ માટે એક ટીમ તરીકે કામ કરે તેવો અનુરોધ શ્રીમતી અવંતિકા સિંઘ દ્વારા આ બેઠકમાં કરાયો હતો.

આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આંગણવાડીના અને શાળાના બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરીને આ બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. સગર્ભા માતાઓને માતૃશક્તિના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને અન્નપ્રાશન કરાવવામાં આવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવના આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થિની અને વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વિષયો પર વક્તવ્ય રજૂ કરાયાં હતા. માર્ગ અકસ્માત એ વૈશ્વિક ચિંતાનો વિષય છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો દ્વારા માર્ગ અકસ્માત થતા અટકાવવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીનાં અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે શ્રી રામદેવપીરજી ટેકરામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થઈ રહેલા મકાનોની, આંગણવાડીની અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આવાસમાં ઉપલબ્ધ સુવિધાઓ, આંગણવાડીમાં આપવામાં આવતા પોષણયુક્ત ખોરાક અને આરોગ્ય કેન્દ્રની આરોગ્યલક્ષી સેવાઓની તેમણે વિસ્તૃત માહિતી મેળવી હતી.

શાળા પ્રવેશોત્સવના આ કાર્યકમમાં નાયબ શાસનાધિકારી શ્રી ડૉ. પરિમલભાઈ પટેલ, કાઉન્સિલર શ્રી મુકેશભાઈ મિસ્ત્રી, શ્રી પ્રદીપભાઈ દવે, સુશ્રી રશ્મિબહેન ભટ્ટ, સુશ્રી દીપાલી બહેન પટેલ, શાળાના આચાર્ય સુશ્રી તેજલબહેન દવે અને સુશ્રી શ્રેયાબહેન વૈષ્ણવ, એ.એ.ઓ. સુશ્રી સ્નેહલબહેન મોદી અને બહેન પાઠક, સુપરવાઇઝર શ્રી સમીરભાઈ પટેલ, એએમસીના પ્લાનિંગ અને મેનેજમેન્ટ વિભાગના મનોજભાઈ પટેલ, એસ.એમ.સીના સભ્યો, વાલીગણ સહિત શાળાના શિક્ષકો, આંગણવાડી કાર્યકરો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *