સાંસદ સમૂહ લગ્નોત્સવમા પ્રભુતામાં પગલાં પાડનાર 122 નવ દંપતીઓને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવી
(જી.એન.એસ) તા.2
સાબરકાંઠા,
સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા તેમજ દિવ- દમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપ પ્રશાસકશ્રી પ્રફુલભાઇ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા – અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા આયોજિત 122 વ્હાલી દિકરીઓના વિવાહ માટે નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ 2025 પ્રાંતિજના આમોદરા ખાતે યોજાયો હતો.
નવ યુગલોને દાંમ્પત્ય જીવનની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ છે. સમૂહલગ્ન સમાજને નિકટ લાવવાનું કાર્ય કરે છે. સાદગીથી ઉજવાતા આવા અવસર સર્વ સમાજ માટે પ્રેરણારૂપ બની રહે છે. અતિ ખર્ચાળ લગ્ન સમારંભોને તિલાંજલિ આપી ઓછા ખર્ચે અને મધ્યમ તથા સામાન્ય વર્ગના લોકોને પોષાય તે રીતે સમૂહ લગ્નોત્સવોની પરંપરા આજે મોંઘવારીના સમયમાં ખૂબ અસરકારક સાબિત થઇ રહી છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમા સર્વ સમાવેશી વિકાસની નેમ સરકારની રહી છે. સામાન્ય વર્ગના લોકોના મંગલ અવસરને માનભેર ઉજવવા આ સાંસદ સમૂહ લગ્ન ઉત્સવ જેવા આયોજનોએ સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે. આજના આ મંગલ પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતા નવદંપતીઓનું જીવન સુખમય અને સમૃદ્ધ રહે તેવી શુભકામનાઓ મુખ્યમંત્રીશ્રીએ પાઠવી હતી.
વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તમામ વર્ગોમા એકતા અને સમરસતા રહે તે માટે આવા સમૂહ લગ્નોત્સવ પ્રેરણારૂપ છે. વૈભવી લગ્નોએ સમાજની આર્થિક વ્યવસ્થામાં પડકારરૂપ છે. જેમાં સામુહિક લગ્ન ઉત્સવ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. સમાજમાં ભેદભાવ ન રહે અને એકતાનો ભાવ જળવાઈ રહે તે માટે સામૂહિક લગ્ન ઉત્સવ ઉત્તમ ઉદાહરણ છે. સરકારશ્રી દ્વારા સાત ફેરા સમૂહ લગ્ન યોજના અમલી બનાવાઈ છે જેનો લાભ રાજ્યની અનેક દીકરીઓએ મેળવ્યો છે.
આ કાર્યક્રમમા દિવ-દમણ- દાદરાનગર હવેલી અને લક્ષદ્વિપ પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે આજનો સાંસદ સમૂહ લગ્નઉત્સવએ સમાજની એકતા, સંવેદનશીલતા તથા સહકારીતાનું ઉત્તમ ઉદાહરણ છે. જે દરેક સમાજ માટે પ્રેરણારૂપ છે. લગ્નજીવનની શરૂઆત કરનારના નવયુગલોને અંતરના આશીર્વાદ આપ્યા હતા.
આ કાર્યક્રમના આયોજક એવા સાંસદ શ્રીમતી શોભાનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, આજે અહીં પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો છે. આ નવયુગલોનું દાંપત્ય જીવન અખંડ રહે તેવી ભગવાનને પ્રાર્થના છે. સમાજમાં અંધશ્રદ્ધાઓનું પ્રમાણ ઘટે અને શિક્ષણ વધે તે માટે પ્રયત્નો કરવા જોઈએ. આજે સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના, બેટી બચાવો, બેટી પઢાવો જેવી અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આ યોજનાઓનો લાભ સમાજના દરેક વ્યક્તિ લઈ આગળ વધે તેવી અપીલ સાંસદશ્રીએ કરી હતી.
આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, હિંમતનગર ધારાસભ્યશ્રી વી. ડી ઝાલા, ઇડર ધારાસભ્યશ્રી રમણલાલા વોરા, કપડવંજ ધારાસભ્યશ્રી રાજેશ ઝાલા,બાયડ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા, સાબરકાંઠા અગ્રણીશ્રી કનુભાઈ પટેલ, અરવલ્લી અગ્રણીશ્રી રાજેન્દ્રભાઈ પટેલ, સાબરડેરીના ચેરમેનશ્રી શામળભાઈ પટેલ, સહિત સંતો, સમાજના આગેવાનો તેમજ નવદંપતીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.