‘ન્યુક્લિયર એનર્જીની ઉપયોગિતા’ પર CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ

‘ન્યુક્લિયર એનર્જીની ઉપયોગિતા’ પર CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ


વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત

ઊર્જા સુરક્ષા અને ‘વિકસિત ભારત’ના ૧૦૦ GW ન્યુક્લિયર લક્ષ્યાંક પર મંથન કરવામાં આવ્યું

(જી.એન.એસ) તા. 9

મહેસાણા,

પ્રાદેશિક વિકાસને વૈશ્વિક રોકાણ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના પ્રથમ દિવસે  ઊર્જા સુરક્ષાના મહત્ત્વપૂર્ણ વિષય પર “Brainstorming on Harnessing Nuclear Energy” વિષય પર ઉચ્ચ સ્તરીય CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ન્યુક્લિયર એનર્જીના ક્ષેત્રમાં ભારત સરકારના ‘વિકસિત ભારત’ના મહત્ત્વાકાંક્ષી ૧૦૦ GWના લક્ષ્યાંકને હાંસલ કરવા અને તેમાં ગુજરાતના યોગદાનને વધારવા માટેની વ્યૂહરચના પર આ સત્રમાં સઘન વિચાર-વિમર્શ થયો હતો.

આ મહત્ત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું સંચાલન શ્રી શુવા રાહા(CEEW) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (NPCIL)ના સીએમડી શ્રી બી.સી. પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સત્રમાં શ્રી અજિત કુમાર મોહંતી (સેક્રેટરી DAE & ચેરમેન, AERC), શ્રી પંકજ અગ્રવાલ (સેક્રેટરી), કાકરાપાર NPCIL ના ડાયરેક્ટર શ્રી એસ.કે. માલવિયા, શ્રી ઘનશ્યામ પ્રસાદ (ચેરપર્સન, CEA), શ્રી ગુરદીપ સિંહ (સીએમડી, NTPC), ડૉ. એલેક્સ વોલ્ગિન (Ros-Atom, રશિયા), શ્રી અનિલ વી પરાબ (Whole-Time Director & Sr. Executive VP, L&T), શ્રી કુપ્પુ સદાશિવ મૂર્તિ (સીએમડી, BHEL), શ્રી વિવેક શર્મા (અદાણી પાવર), શ્રી નીરજ અગ્રવાલ (પ્રેસિડેન્ટ-ન્યુક્લિયર પાવર, JSW), ડૉ. ઓમકાર જાની (પ્રેસિડેન્ટ & સીઈઓ, રિલાયન્સ ન્યૂ એનર્જી), શ્રી આશુતોષ અરોરા (પ્રેસિડેન્ટ & સીઈઓ, Prodigy Clean Energy Ltd.) સહિત વિવિધ અગ્રણી સંસ્થાના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.

ન્યુક્લિયર એનર્જીની ક્ષમતા વધારવા માટે સરકારી અને ખાનગી ક્ષેત્ર વચ્ચેના સહયોગને મજબૂત બનાવવા અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતનું ૧૮ GW ન્યુક્લિયર પાવરનું લક્ષ્યાંક પૂર્ણ કરવા માટેની યોજનાઓ પર ચર્ચા થઈ, જેમાં ખુશાલપુરા ખાતે ૪૨૦૦ મેગાવોટના પ્લાન્ટનું આયોજન પણ સામેલ છે.

સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ (SMRs) જેવી અદ્યતન તકનીકો અપનાવીને પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. રોકાણની તૈયારીને મજબૂત કરવા માટે સિવિલ લાયેબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ એક્ટ સહિતના નિયમનકારી માળખામાં જરૂરી સુધારા દ્વારા ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ભારતના પ્રથમ પૂર્ણ સ્વદેશી ૭૦૦ મેગાવોટ PHWR યુનિટ KAPS-3ની સફળ કામગીરીને બિરદાવીને સ્વદેશી ટેક્નોલોજી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

આ CEO રાઉન્ડ ટેબલની સફળતાએ દર્શાવે છે કે ગુજરાત માત્ર અક્ષય ઊર્જા જ નહીં, પણ ન્યુક્લિયર એનર્જી જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પણ રાષ્ટ્રીય લક્ષ્યોને સાકાર કરવા માટે એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનવા તૈયાર છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *