એક સમયે 100ના કિલોના ભાવે વેચાતા શાકભાજી હાલ પાણીના ભાવે વેચાઈ રહ્યા છે: શિયાળો હવે બરોબરનો જામી રહ્યો છે, છેલ્લા એક સપ્તાહથી વાતાવરણ ના પલટા બાદ ફરી કડકડતી ઠંડી પડવા નું શરુ થઇ છે. ત્યારે શાકભાજીની પણ યાર્ડમાં ભરપુર આવક થઇ રહી છે. શિયાળાની ઋતુમાં દર વર્ષે શાકભાજી સસ્તુ હોય છે. આ ઋતુમાં દરેક શાકભાજીની ભરપુર આવક થતી હોય છે.
મોટાભાગના શાકભાજીનો રૂપિયા 10 થી 35ના કિલોનો ભાવ છે: ડીસા સહિત તમામ શહેરોની માર્કેટ યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક થઈ રહી છે. આવક વધતાં ભાવમાં ઘટાડો થયો છે. કેટલાક દિવસ પહેલા શાકભાજીના ભાવ આસમાને હતા. છેલ્લો પાછતરો વરસાદ પડવાથી પાકને મોટું નુકશાન થયું હતું. જેને પગલે આવક પણ મોડી શરુ થઇ હતી. જેના કારણે શાકભાજી 100 રૂપિયા નું કિલોએ વહેંચાય રહ્યું હતું ત્યારે શિયાળો જામતા જ આવકમાં પણ વધારો થયો છે. લોકલ આવક શરુ થતાં ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. 100નું કિલોએ વહેચાતું શાકભાજી હવે 10 થી 35નું કિલો થઇ ગયું છે. જેને કારણે ગૃહણીઓને મોટી રાહત મળી છે. ડીસા સહિત તમામ શાકભાજી ના માર્કેટ માં થોડા દિવસ પહેલા અન્ય રાજ્યોમાંથી શાકભાજી મંગાવવું પડતું હતું. પરંતુ હવે સ્થાનિક લેવેલે ગામડાંઓમાંથી ભરપૂર આવક શરુ થતાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે.
શિયાળાની સીઝન શરૂ થયા બાદ પહેલીવાર શાકભાજીના ભાવમાં રાહત મળી છે. કોબીજ, રીંગણા, ડુંગળી, ફુલાવરની મબલખ આવક થઇ રહી છે. નવા બટેટા યાર્ડમાં આવવા લાગ્યા છે. હાલ ગુજરાતના સેન્ટરોમાંથી ટમેટાની આવક થતી ન હોવાથી બેંગ્લોરથી મંગાવવામાં આવે છે. જેના કારણે ટમેટાના ભાવ હજુ પણ વધારે જોવા મળી રહ્યા છે. શિયાળામાં સૌથી વધુ ખવાતું ઉંધીયું બનાવવું પણ હવે સસ્તુ બનશે. જે દરેક પ્રકારના શાકભાજીનો ઉપયોગ થઇને બને છે. તે આરોગ્યપ્રદ ઉંધીયુ બનાવવું પણ સસ્તુ થશે. શિયાળો શરૂ થતાં જ લીલોતરી ખાવાનું ખૂબ મહત્વનું હોય છે જેમાં કોથમરી, મેથી, પાલક બહોળા પ્રમાણમાં આરોગવામાં આવે છે એ ધીરે ધીરે સસ્તા ભાવે વેચાઇ રહ્યા છે.