ક્યારેક સુરત તક્ષશીલા, ક્યારેક વડોદરા હરણીકાંડ, ક્યારેક સુરત ગેમ ઝોન તો ક્યારેક ડીસા મોતનું ગોડાઉન, ક્યાંક સેફ્ટીનો અભાવ, ક્યાંક મંજૂરીનો અભાવ, ક્યાંક તંત્રની ઘોર લાપરવાહી વગેરેને લીધે દર વખતે માસૂમ ગરીબ લોકો મોતને ભેટતા હોય છે અને તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી? આખરે આવું ક્યા સુધી ચાલતું રહેશે? તેવા ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે.
નિર્દોષોના મોત પર રાજનીતિ શરૂ; વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ડીસા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. મજૂરી કરતા લોકોએ પોતાના અમૂલ્ય જીવ ગુમાવ્યા છે. ઇજાગ્રસ્તોની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માફ કરી શકાય એવી ઘટના નથી. રાજ્ય સરકાર દોષીતો સામે કાયદેસરનાં પગલાં લેશે.
ફાયર સેફટીના નામે ગેરરીતિ; શક્તિસિંહ ગોહિલ, આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે સુરત, રાજકોટ બાદ હવે બનાસકાંઠામાં આગમાં ઘણા લોકોના મોત થયા છે.ભાજપ સરકાર ફાયર સેફ્ટીના નામે ભ્રષ્ટાચાર કરી રહી છે અને પૈસા માટે ખોટા ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપી રહી છે. જેના કારણે આવી ઘટનાઓ બની રહી છે. કોઈના મૃત્યુ પછી વળતર આપવાથી તેના પરિવારની સ્થિતિમાં કોઈ સુધારો થશે નહીં. આવા અકસ્માતોમાં ફક્ત કામદારો જ મૃત્યુ પામે છે. પીડિત પરિવારોને યોગ્ય નાણાકીય વળતર મળે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
આગ કેવી રીતે લાગી; મળતી માહિતી મુજબ આ ગોડાઉનમાં રાખેલા એક બોઇલરમાં વિસ્ફોટ થયો હતો. જેને પગલે ફેક્ટરી આગની લપેટમાં આવી હતી. પણ અહી મુદ્દો એ છે કે, ફટાકડાની ફેકટરીમાં બોઇલર કેમ રાખ્યું હતું ? એ પણ તપાસનો વિષય છે.
સહાય નહી છોકરા પરત આપો; પરીવારોનું આક્રંદ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મૃતકોને ૪ લાખ અને ઘાયલોને ૫૦ હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. પરંતુ ૪ લાખની સહાય સામે મૃતકોના પરિવારજનો નારાજ છે. તેઓએ જણાવ્યું કે, ૪ લાખ ભેગા કરી અમે ગરીબ માણસો સરકારને આપી દઇએ, પણ અમારા યુવાન છોકરાઓ પરત આપો.