(G.N.S) Dt. 22
વાવ- થરાદ,
પાલનપુર,
તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ–થરાદ જિલ્લામાં યોજાનાર છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં યોજાનાર આ મહત્વપૂર્ણ ઉજવણીને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
આ અંગે મીડિયાના મિત્રોને આયોજન અને કાર્યક્રમોની સંપૂર્ણ માહિતી આપવા માટે આજે જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિના અધ્યસ્થાને કલેક્ટર કચેરી, થરાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “આપણો જિલ્લો ભાગ્યશાળી છે કે તેને રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વ ઉજવણીનું આયોજન મળ્યું છે. નવીન જિલ્લા માટે આ એક ઉત્તમ તક છે અને આ ઉજવણી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.”
તેમણે જણાવ્યું કે, તા. ૨૬ જાન્યુઆરીના રોજ સવારે ૯.૦૦ વાગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા વિવિધ પરેડ અને કાર્યક્રમો યોજાશે.
જિલ્લા કલેક્ટરશ્રીએ માહિતી આપતા જણાવ્યું કે, તા. ૨૫ જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૦૦ વાગે મુખ્યમંત્રીશ્રીનું આગમન થશે. આ દિવસે સેવા સદનનું ભૂમિપૂજન, ગૌમાતા સર્કલનું અનાવરણ, દૂધવા જીઆઇડીસીનું ભૂમિપૂજન, નારી સશક્તિકરણ કાર્યક્રમ, ગૌભક્તો સાથે મુખ્યમંત્રીશ્રીનો સંવાદ તેમજ ગાયત્રી મંદિરમાં શસ્ત્ર પ્રદર્શન જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે.
આ ઉપરાંત, તા. ૨૫ જાન્યુઆરીએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં થરાદના મલુપુર ખાતે “એટ હોમ” કાર્યક્રમ સાથે સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગ્રામ્ય કક્ષાએ પણ લોકો વિશાળ પ્રમાણમાં સહભાગી બને તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દરેક ગામમાં શાળા અને ગ્રામ પંચાયત કક્ષાએ ઉજવણી થાય તે માટે વહીવટીતંત્ર તથા પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ઉજવણી દરમિયાન સ્વચ્છતા અને રોશની માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
ઉજવણીના ભાગરૂપે તા. ૨૨ જાન્યુઆરીએ ચેતક કમાન્ડોની મોકડ્રીલ યોજાઈ હતી. જ્યારે તા. ૨૩ અને ૨૪ જાન્યુઆરીના રોજ સવારે ૫.૦૦ વાગે પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં દેશભક્તિનો માહોલ સર્જાય અને વધુમાં વધુ નાગરિકો આ રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બને તેવી જિલ્લા કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી તુષાર જાની, નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમાર, સહાયક માહિતી નિયામક શ્રી નરેન્દ્ર પંડ્યા (અમદાવાદ) સહિત જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ
૨૫ જાન્યુઆરીએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિકાસ કાર્યોની ભેટ
ગ્રામ્યથી શહેર સુધી રાષ્ટ્રભાવનાનો ઉલ્લાસ,
નાગરિકોને રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બનવા અપીલ
તા. ૨૫ જાન્યુઆરીએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં થરાદના મલુપુર ખાતે “એટ હોમ” સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
૨૩ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન વ્યાપક કાર્યક્રમો સાથે દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાશે

