(જી.એન.એસ) તા. ૧૮
ગાંધીનગર,

“હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અને “લોકલ ફોર વોકલ”ને પ્રોત્સાહન આપવા ૮૫ જેટલા સ્વદેશી સ્ટોલ ઉભા કરાયા
આ મેળો મહિલા આગેવાની હેઠળના સામાજિક અને આર્થિક પરિવર્તનને નવી દિશા આપશે અને નારી શક્તિને પ્રેરણા પૂરી પાડશે-મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા તથા મહિલા નેતૃત્વ આધારિત વિકાસને ગતિ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મહિલા સશક્તિકરણ, સ્વદેશી વિચારધારા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. મારફત તા.૧૧ થી ૨૩ ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં તા.૧૮ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન ગ્રામહાટ, અક્ષરધામ મંદિરની સામે, ગાંધીનગર ખાતે જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળા”નું આજે ભવ્ય ઉદ્ઘાટન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યકક્ષા મંત્રીશ્રી કાંતીલાલ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લાના આ સશક્ત નારી મેળામાં “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અને “લોકલ ફોર વોકલ”ના સંદેશને સાર્થક કરતા ૮૪ જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. જેમાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી હસ્તકલા, ગૃહઉદ્યોગ ઉત્પાદનો, સ્વસહાય જૂથ (SHG)ના ઉત્પાદનો, કૃષિ આધારિત વસ્તુઓ, મહિલા ઉદ્યોગ સાહસિકોના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ ત્રણ દિવસ કરવામાં આવશે.
આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક મહિલાઓને આત્મનિર્ભર બનાવવા, તેમના ઉત્પાદનોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાનો અને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
તથા મહિલા કેન્દ્રિત રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, આજીવિકા કાર્યક્રમો, સ્વરોજગાર, સ્ટાર્ટઅપ સહાય, સહકારી પહેલો અને મહિલા કલ્યાણ સંબંધિત યોજનાઓ અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવામાં પણ આ મેળો મજબૂત માધ્યમ બની રહેશે.
આ પ્રસંગે ઉપસ્થિત મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે,આ મેળો મહિલા આગેવાની હેઠળના સામાજિક અને આર્થિક પરિવર્તનને નવી દિશા આપશે અને નારી શક્તિને પ્રેરણા પૂરી પાડશે. આ સાથે જ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, મહિલાઓના ઉત્કર્ષ માટે રોજગાર માટે એક આવું સ્થળ અને એ પણ પ્રવાસન સ્થળની એકદમ નજીક હોય તેવી વ્યવસ્થા થકી સ્વદેશી અભ્યાનને તો નવો વેગ મળશે જ પરંતુ ગાંધીનગરના આ સ્થાયી વેચાણ કેન્દ્રને તેમણે એક મોડલ તરીકે ગણાવતા ઉમેર્યું હતું કે, અન્ય જિલ્લાઓમાં પણ આવી વ્યવસ્થા ઊભી થવી જોઈએ. જેનાથી મહિલાઓ આત્મનિર્ભર બનવા સાથે તેમને સ્વદેશી વસ્તુઓ બનાવે જાણ માટે કાયમી પ્લેટફોર્મ મળી રહેશે.વધુમાં આ મેળામાં ઉપસ્થિત તમામ બહેનોના વ્યવસાયને વેગ આપવા બેન્ક દ્વારા સહાયની વિગતો અને નોંધણી માટે પણ સ્થળ પરજ વ્યવસ્થા ઉભી કરવાની તંત્રની તૈયારી ને બિરદાવી હતી.
તદુપરાંત ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવે દ્વારા ગાંધીનગર જિલ્લાના નાગરિકો, પ્રવાસીઓ અને મહિલાઓને આ જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળા”ની મુલાકાત લઈ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પણ વહીવટી તંત્ર વતી અનુરોધ કરવામાં આવ્યો છે.
સ્ત્રીઓના સશક્તિકરણ અને સ્વદેશી અભિયાનને વેગ આપતા આ ત્રિ-દિવસીય મેળાના શુભારંભ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના મેયર શ્રી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે પટેલ સહિત મહાનુભાવો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

