(G.N.S) Dt. 7
અમરેલી,
કૃષિ મંત્રીશ્રીએ ખેડૂતો સાથે આત્મીયતાપૂર્વક ગોઠડી માંડી, ખેતી-વાડીની વર્તમાન સ્થિતિ અને પાક વિશે ચર્ચા કરી
ગુજરાતના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ એક રાજનેતાની છબી બાજુ પર મૂકીને સાચા અર્થમાં ‘ખેડૂતપુત્ર’ હોવાનો પરિચય આપ્યો છે. પોતાના પ્રભારી જિલ્લા અમરેલીના સનાળા ગામે ખેડૂત મિત્ર રમેશભાઈના ખેતરે પહોંચેલા કૃષિ મંત્રીશ્રીએ ખેતરની ધૂળ અને માટી વચ્ચે રહીને પોતીકાપણાનો અહેસાસ કરાવ્યો હતો.
કૃષિ મંત્રીશ્રીએ ખેતરમાં પહોંચીને માત્ર મુલાકાત જ ન લીધી, પરંતુ સ્વયં ટ્રેક્ટરના સ્ટિયરિંગ પર બેસીને ખેતરમાં સવડું એટલે કે, હળ હાંક્યું હતું. એક કુશળ ખેડૂતની જેમ જમીન ખેડતા કૃષિ મંત્રીશ્રીને જોઈને ત્યાં હાજર અન્ય ખેડૂતો પણ ગદગદિત થયા હતા.
આ વેળાએ કૃષિ મંત્રીશ્રીએ ખેતરમાં ખેડૂતો સાથે આત્મીયતાપૂર્વક ગોઠડી માંડી હતી. તેમણે ખેતી-વાડીની વર્તમાન સ્થિતિ અને પાક વિશે ખેડૂતો સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માટી સાથેનો આ સ્પર્શ ખેડૂતોના રાત-દિવસના પરિશ્રમ અને સંકલ્પની અનુભૂતિ કરાવે છે. જગતના તાતની મહેનત અને તેમના સંઘર્ષને નજીકથી અનુભવવાની આ ક્ષણ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી છે.
મંત્રીશ્રીએ ખેડૂતોના પ્રશ્નો અને તેમની આશાઓને પ્રત્યક્ષ રીતે સમજવાનો પ્રયાસ કરીને રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને દરેક તબક્કે સહાયરૂપ થવાની ખાતરી આપી હતી.
ખેડૂતપુત્ર તરીકે કૃષિ મંત્રીશ્રીનો આ સરળ વ્યવહાર જ દર્શાવે છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અન્નદાતાઓના સુખ-દુઃખમાં સહભાગી થવા માટે હંમેશા તત્પર છે.

