(જી.એન.એસ) તા. 8
નવી દિલ્હી,
દિલ્હી વિધાનસભા ચુંટણીમાં અરવિંદ કેજરીવાલની આ હાર પર તેમના એક સમયના પૂર્વ સાથી અને કવિ કુમાર વિશ્વાસે એક અલગ અંદાજમાં પ્રતિક્રિયા આપી હતી. કુમાર વિશ્વાસે આ અગાઉ પણ તેની જ એક પોસ્ટને રિપોસ્ટ કરી લખ્યુ હતુ કે અહંકાર ઈશ્વરનું ભોજન છે. ખુદને એટલા પણ શક્તિશાળી ન સમજો કે જેમણે સિદ્ધિ આપી છે તેમને જ તમે આંખો બતાવવા લાગો.
“એક ચરિત્રહિન વ્યક્તિના શાસનમાંથી લોકોને મુક્તિ મળી”
વધુમાં કુમાર વિશ્વાસે ઉમેર્યુ કે આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ અન્ના આંદોલનમાંથી બહાર આવ્યા. જેના નિશ્છલ, નિષ્પાપ અને ભારતની રાજનીતિને બદલવાના સપનાની હત્યા એક નિર્લજ્જ, નીચ, મિત્રહન્તા, આત્મમુગ્ધ અને ચરિત્રહિન વ્યક્તિએ કરી. તેના માટે તો કોઈ સંવેદના ન હોઈ શકે. દિલ્હીના લોકોને તેનાથી મુક્તિ મળી. હવે આમ આદમી પાર્ટીમાં જે લોકો સત્તાના લોભમાં, પદ માટે, પૈસાના ચક્કરમાં બચી ગયા હતા તેઓ પણ હવે ઘરભેગા થશે તો કેટલાક દળ બદલ કરશે, પતનની શરૂઆત અહીથી થાય છે.
કુમાર વિશ્વાસે કહ્યુ આમ આદમી પાર્ટીના સમસ્ત કાર્યકર્તાઓને કહેવા માગુ છુ કે તમે જે પણ લોભ-લાલચમાં, બધુ જ જાણતા હોવા છતા એક એવા વ્યક્તિના સમર્થનમાં કામ કર્યુ, જેમણે તેના મિત્રોની પીઠમાં પણ ખંજર ભોંક્યુ, ગુરુને દગો આપ્યો. તેની સાથે ખભેખભો મિલાવી કામ કરનારી મહિલાઓને પણ પોતાના ઘરે બોલાવી અન્ય દ્વારા માર માર્યો. પોતાની સુવિધા માટે જનતાના પૈસાનો દુરુપયોગ કર્યો. હવે તેની પાસેથી કાર્યકર્તા આશા રાખવાનું છોડે. પોતાપોતાની જિંદગી પર ફોકસ કરે.
કુમાર વિશ્વાસે આપ માંથી અલગ કરી લેવા અંગે કહ્યુ કે મારા પર ક્રિષ્ન કૃપા થઈ કે હું એ નિર્લજ્જ સર્કસમાંથી બહાર આવી શક્યો. મહાભારતમાં કૃષ્ણનું ઉદાહરણ આપતા કહ્યુ કે દૂર્યોધને કૃષ્ણને દૂત તરીકે આવેલા જોઈને પણ ભરી સભામાં અટ્ટહાસ્ય કરીને કહ્યુ હતુ યુદ્ધ કર્યા વિના તો પાંચ ગામ પણ પાંડવોને હું નહીં આપુ. આજે એ દુર્યોધન પોતાની જ સીટ બચાવવા માટે તરસી રહ્યો છે. અને હું જાણુ છુ કે આ દૂર્યોધનનો અંત પણ અત્યંત દારૂણ થવાનો છે અને ભારતીય રાજનીતિ એક કલંકિત આધ્યાયના રૂપે આ દૂર્યોધન અને તેના દરબારના તમામ શકુનીઓને યાદ કરશે. હું તેમની મુક્તિની કામના કરુ છુ.
કુમાર વિશ્વાસે કહ્યુ હતું કે, મારા માટે આ કોઈ પ્રસન્નતાની કે દુ:ખનો વિષય નથી પણ કરોડો લોકોએ તેના તરફ આશા લગાવીને બેઠા હતા. કરોડો લોકો તેમની નોકરીઓ, વ્યવસાય છોડીને આવ્યા હતા. લોકો સાથે દુશ્મની કરી લીધી હતી. એ તમામની હત્યા એક આત્મશ્લાઘામાં રાચતા, ચરિત્રહિન માણસે તેની અંગત મહત્વાકાંક્ષાઓની પૂર્તી કરવા માટે કરી. તેને ઈશ્વરીય વિધાનથી આજે દંડ મળ્યો છે. જો કે પ્રસન્નતા એ વાતની પણ છે કે ન્યાય થયો છે.