ઈરાન-ઈઝરાયલ સહિત 6 દેશોના વિદેશ મંત્રી સાથે જયશંકરની ટેલિફોનિક વાતચીત, તણાવ ઘટાડવા અપીલ


(જી.એન.એસ) તા. ૧

નવી દિલ્હી,

હાલ ના સમયે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. મધ્ય પૂર્વમાં સર્જાયેલી આ ગંભીર સ્થિતિ વચ્ચે ભારત ‘બેલેન્સિંગ એક્ટ’ ની વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતર્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે છેલ્લા 24 કલાકમાં ઈરાન અને ઈઝરાયલ સહિત કુલ 6 દેશોના વિદેશ મંત્રીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી તણાવ ઘટાડવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

મીડિયા સુત્રોના અહેવાલો અનુસાર, વિદેશ મંત્રી એસ. જયશંકરે સંઘર્ષના બંને મુખ્ય પક્ષો સાથે વાતચીત કરી ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઈઝરાયલી વિદેશ મંત્રી ગિદોન સાર સાથેની વાતચીતમાં એસ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ વિવાદનો ઉકેલ માત્ર રાજદ્વારી વાતચીત દ્વારા જ શક્ય છે. જ્યારે ઈરાની વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથેની ચર્ચામાં ભારતે તાજેતરના હુમલાઓ અને વળતા હુમલાઓ સામે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારતનો પ્રયાસ છે કે આ સંઘર્ષ વધુ વકરે નહીં.

ભારતની સૌથી મોટી ચિંતા ખાડી દેશોમાં વસતા લાખો ભારતીય કામદારોની સલામતી છે. આ સંદર્ભમાં એસ. જયશંકરે કુવૈત અને કતારની નવીનતમ સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી. બહેરીન અને યુએઈ આ બંને દેશોએ ભારતને ખાતરી આપી છે કે કોઈપણ કટોકટીના સમયે ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું છે કે જો આ તણાવ વધશે તો તેની અસર માત્ર વૈશ્વિક અર્થતંત્ર (ક્રૂડ ઓઈલના ભાવ વગેરે) પર જ નહીં, પરંતુ માનવ સુરક્ષા પર પણ ગંભીર રીતે પડશે. નોંધનીય છે કે, આ કટોકટીના સમયમાં તમામ મુખ્ય ખાડી દેશોનું ભારત સાથે ઊભા રહેવું એ ભારતની મોટી રાજદ્વારી જીત ગણી શકાય. ભારત હાલમાં બંને પક્ષો વચ્ચે સંતુલન જાળવીને શાંતિ દૂતની ભૂમિકા ભજવી રહ્યું છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *