(જી.એન.એસ) તા. ૩૧
ગાંધીનગર,
ભારતીય તટરક્ષક: દેશમાં સેવા, સતર્કતા અને દરિયાઈ સુરક્ષાના પાંચ દાયકા
‘વયમ રક્ષામહ’મંત્ર સાથે ભારતીય તટરક્ષક છેલ્લા પાંચ દાયકાથી ભારતના દરિયાઈ કિનારાઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે. ભારતીય તટરક્ષક મેરિટાઇમ ટ્રાન્સપોર્ટેશન તથા બ્લુ ઇકોનોમીના સાતત્યપૂર્ણ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પિત સેવાનો ગૌરવસભર ઇતિહાસ ધરાવે છે.
૧૯૬૦ના દાયકાથી ભારતીય નૌસેનાએ ભારતીય જળસીમાઓમાં મેરિટાઇમ કાયદાના અમલ અને સલામતી-સુરક્ષા સંબંધિત કામગીરી માટે એક સહાયક દળની જરૂરિયાત અંગે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જેના પરિણામે વર્ષ ૧૯૭૦ના પ્રારંભ સુધીમાં ત્રણ મુખ્ય પરિબળોએ અલગ કોસ્ટ ગાર્ડ દળની આવશ્યકતા વધુ સ્પષ્ટ કરી.
સમુદ્ર માર્ગે થતી તસ્કરી કોઇ પણ દેશની અર્થવ્યવસ્થા માટે ગંભીર જોખમરૂપ સાબિત થાય છે. કસ્ટમ્સ અને માછીમારી વિભાગ જેવી મેરિટાઇમ એજન્સીઓ પાસે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લડવાની વ્યવસ્થા ન હતી. પરિણામે, વર્ષ ૧૯૭૦માં નાગ સમિતિની રચના કરવામાં આવી, જેણે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ સામે કાર્યવાહી માટે એક અલગ મરીન દળ તૈયાર કરવાની ભલામણ કરી હતી.
વર્ષ ૧૯૭૨માં સંયુક્ત રાષ્ટ્રના સમુદ્ર કાયદા સંમેલન (UNCLOS) દ્વારા દરિયાકાંઠા ધરાવતા દેશોને વિશિષ્ટ આર્થિક ઝોન (EEZ)નો અધિકાર આપવામાં આવ્યો. આ અનુસંધાને, ભારતે વર્ષ ૧૯૭૬માં મેરિટાઇમ ઝોન ઓફ ઇન્ડિયા એક્ટ અમલી બનાવ્યો, જેના પરિણામે ભારતને આશરે ૨.૦૧ મિલિયન સ્ક્વેર કિમી જેટલો વિશાળ સમુદ્રી વિસ્તાર પ્રાપ્ત થયો. આ વિસ્તારમાં કાયદાનો અમલ અને દેખરેખ માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થઈ.
આ ઉપરાંત મુંબઈ હાઈ વિસ્તારમાં તેલની શોધ અને પરિણામ સ્વરૂપ ઉચ્ચ મૂલ્યની ઓફશોર સ્થાપનાઓના વિકાસને પરિણામે, આ મહત્વપૂર્ણ આર્થિક ક્ષેત્રની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે વિશેષ વ્યવસ્થાઓ જરૂરી બની હતી.
આ પરિપ્રેક્ષ્યમાં, વર્ષ ૧૯૭૪માં શ્રી કે.એફ. રુસ્તમજી, આઈપીએસના અધ્યક્ષસ્થાને એક સમિતિની રચના કરવામાં આવી. સમિતિએ વર્ષ ૧૯૭૫માં રજૂ કરેલા અહેવાલમાં ભારતના સમુદ્રી વિસ્તારોની દેખરેખ અને પોલીસિંગ માટે “કોસ્ટ ગાર્ડ” પ્રકારની સંસ્થાની દ્રઢ ભલામણ કરી હતી. પરિણામે, ૧ ફેબ્રુઆરી ૧૯૭૭ના રોજ દેશમાં ભારતીય તટરક્ષકની સત્તાવાર સ્થાપના કરવામાં આવી હતી.
માત્ર સાત સરફેસ પ્લેટફોર્મથી શરૂઆત કરનાર ભારતીય તટરક્ષક આજે એક શક્તિશાળી અને આધુનિક દળ તરીકે વિકસ્યું છે. જે ૪.૬ મિલિયન સ્ક્વેર કિમીના ભારતીય સર્ચ અને રેસ્ક્યુ ક્ષેત્રમાં નાવિકો, માછીમારો અને જહાજોની સુરક્ષા માટે તે અગત્યની ભૂમિકા ભજવે છે. કોસ્ટ ગાર્ડ સર્ચ અને રેસ્ક્યુ કામગીરી ઉપરાંત, ગેરકાયદેસર સમુદ્રી પ્રવૃત્તિઓ સામે લડત, આપત્તિ પ્રબંધન અને સમુદ્રી પર્યાવરણના સંરક્ષણમાં પણ તેની નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યું છે.
આજે ભારતીય તટરક્ષક એક મલ્ટી-મિશન ફોર્સ તરીકે વિકસ્યું છે, જે મેરિટાઇમ કાયદાનો અમલ, સર્ચ, રેસ્ક્યુ, કોસ્ટલ સુરક્ષા, પર્યાવરણીય સંરક્ષણ અને ઓફશોર સંપત્તિની સુરક્ષા જેવી જવાબદારીઓ નિભાવતું ભારતની સમુદ્રી સુરક્ષાનો મજબૂત આધારસ્તંભ બની રહ્યું છે. જે સર્વે ભારતીયો માટે ગૌરવ સમાન છે.

