આતંકીને બદલે મોટા માથાઓને નિશાન બનાવવાની માંગ : આખરે ભારતે પહેલગામના આતંકી હુમલાનો બદલો લેતા પાકિસ્તાનમાં રહેલા આતંકી થાણાંઓ નેસ્તનાબુદ કરી દીધા છે. ત્યારે પાલનપુર ખાતે યુવાનોએ પાકિસ્તાન મુરદાબાદના નારાઓ વચ્ચે ભારત સરકારની એર સ્ટ્રાઈકને સમર્થન આપ્યું હતું. જમ્મુ કાશ્મીરના પહલગાવમાં થયેલા આતંકી હુમલામાં 26 સહેલાણીઓ માર્યા ગયા હતા. જેને લઈને દેશવાસી ઓમાં પાકિસ્તાન સામે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો હતો. ત્યારે ભારતે મધરાત્રે પાકિસ્તાનમાં રહેલા આતંકી અડ્ડાઓનો સફાયો કરતા સરકારની એર સ્ટ્રાઈકને દેશભરમાંથી ભારે સમર્થન મળી રહ્યું છે. ત્યારે પાલનપુરના ન્યુ એસ.ટી.બસ પોર્ટ પર યુવાનોએ પાકિસ્તાન મુરદાબાદના નારાઓ ગજવી ભારત સરકારની એર સ્ટ્રાઈકનું સમર્થન કર્યું હતું. મોદી સરકારે ભારતની બેન-બેટીઓનું સિંદૂર ઉજાડનાર પાકિસ્તાનીઓને એક ચૂટકી સિંદૂરનું મહત્વ સમજાવી દીધું હોવાનો મત યુવાનોએ વ્યક્ત કર્યો હતો. જોકે, ભારત સરકારે આતંકીઓને આપેલા જડબાતોડ જવાબથી દેશવાસીઓમાં પણ ભારે જુસ્સો જોવા મળી રહ્યો છે.
દેશવાસીઓના આક્રોશનો જવાબ
પહેલગામ આતંકી હુમલા સામે દેશવાસીઓનો જે આક્રોશ હતો. તેનો જડબાતોડ જવાબ ભારત સરકારે પાકિસ્તાનને આપ્યો હોવાનું પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું. તેઓએ એર સ્ટ્રાઈકને દેશવાસી ઓના ગુસ્સાનો જવાબ તથા ભારતને ભવિષ્યમાં પણ છંછેડનાર આતંકવાદીઓને આપેલો જવાબ ગણાવ્યો હતો.
મોટા માથાઓને નિશાન બનાવવાની માંગ
જ્યારે પાલનપુરના જાણીતા તબીબ ડો.સુરેન્દ્રભાઈ ગુપ્તાએ ભારતની જવાબી કાર્યવાહીને આવકારતા મરવા માટે સર્જાયેલા આતંકીઓને બદલે પાકિસ્તાનના મોટા માથાઓને નિશાન બનાવવા ની માંગ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આતંકીઓ તો મરવા માટે જ સર્જાયેલા હોય છે. ત્યારે તેઓને મારવાને બદલે પાકિસ્તાનના લશ્કરી વડા, નેતા સહિતના મોટા માથાઓને નિશાન બનાવી પાકિસ્તાનને તબાહ કરવાની માંગ કરી હતી.