બનાસકાંઠામાં કુલ ૨૦થી વધુ સ્થળોએ યોગ દિવસની કરાશે ઉજવણી; જિલ્લાવાસીઓને સહભાગી બનવા અપીલ

બનાસકાંઠામાં કુલ ૨૦થી વધુ સ્થળોએ યોગ દિવસની કરાશે ઉજવણી; જિલ્લાવાસીઓને સહભાગી બનવા અપીલ

પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવાશે

અંબાજી ચાચર ચોક ખાતે આધ્યાત્મિક અને યોગના સમન્વય સાથે યોગ ગરબાનું કરાશે આયોજન:- જિલ્લા કલેકટર મિહિર પટેલ

૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ૨૧મી જૂન ૨૦૨૫, શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે. “યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે ઉજવાનારા આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કુલ ૨૦ અલગ અલગ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલએ જણાવ્યું કે, ૨૧ મી જૂન ૨૦૨૫ના રોજ સવારે ૬ થી ૮ કલાક દરમિયાન જિલ્લામાં યોગ દિવસની ઉજવણી કરાશે. જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ,પાલનપુર ખાતે બનાસકાંઠા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાશે. આ સાથે તમામ ૧૪ તાલુકાઓ ખાતે તથા અંબાજી મંદિર અને નડાબેટ સહિત ૨૦ થી વધુ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે.

તેમણે જણાવ્યું કે, અંબાજી ચાચર ચોક ખાતે આધ્યાત્મિક અને યોગના સમન્વય સાથે યોગ ગરબાનું આયોજન કરાશે. તેમણે બનાસકાંઠાના સૌ નાગરિકો, જિલ્લાના અગ્રણીઓ તથા સામાજિક સંસ્થાઓને યોગ દિવસમાં સહભાગી થવા અપીલ કરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં પણ યોગ દિવસની ઉજવણી કરાશે જેમાં નગરપાલિકા કમ્પાઉન્ડ થરા, ખાડિયા મેદાન ભાભર, આદર્શ હાઇસ્કુલ ડીસા, ડી.બી.પારેખ હાઇસ્કુલ ધાનેરા, જનતા હાઇસ્કુલ થરાદ ખાતે આયોજન કરાશે. જ્યારે તાલુકા વાઇઝ વાત કરીએ તો આદર્શ નિવાસી શાળા દાંતા, આદર્શ હાઇસ્કુલ દિયોદર, વિનય મંદિર વાવ, મોડેલ સ્કૂલ અમીરગઢ, લાખણી પ્રાથમિક શાળા નંબર ૨ ખાતે, મહર્ષિ કણાદ હાઈસ્કુલ સુઈગામ, કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા, યુ.એચ.ચૌધરી આર્ટસ કોલેજ વડગામ, આદર્શ હાઇસ્કુલ ડીસા, વિવેકાનંદ હાઇસ્કુલ ધાનેરા, ગાયત્રી વિદ્યાલય થરાદ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રૂની-ભાભર, એમ.વી.વાલાણી હાઇસ્કુલ શિહોરી તથા અંબાજી અને નડાબેટ ખાતે યોગ દિવસની ઉજવણી કરાશે.

પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવ જાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક પર લાવવા તથા માનવ જાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુ સાથે સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૫થી પ્રતિ વર્ષ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *