થરાદ તાલુકા હેઠળ આવતું રાહ ગામને સરકાર દ્વારા તાલુકા તરીકે જાહેર કરાતા સમગ્ર ગામમાં ખુશીની લહેર દોડતી થઈ હતી. રાહ ગામના આગેવાન મિત્રો તથા વેપારી મીત્રોએ ફટાકડાં ફોડી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ગામના યુવાનોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિના ચહેરા પર આનંદની કિલકારીઓ જોવા મળી રહી હતી.
સ્થાનિક આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે, રાહ ગામે લાંબા સમયથી તાલુકાના દરજ્જાની માંગ ચાલી રહી હતી. ગામની વસ્તી, વેપાર-ધંધો તથા વિકાસના હિતોને ધ્યાનમાં રાખીને સરકારએ રાહ ગામને તાલુકો જાહેર કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ન માત્ર રાહ ગામ પરંતુ આસપાસના વિસ્તારોને પણ સીધો લાભ મળશે.
ગામજનો દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભારી અભિવ્યક્ત કરવામાં આવ્યો હતો. ગામના વેપારીઓએ જણાવ્યું કે આ નિર્ણયથી હવે સરકારી કચેરીઓની સુવિધાઓ ગામે જ ઉપલબ્ધ થશે, જેના કારણે લોકોને થરાદ અથવા અન્ય તાલુકા કેન્દ્રોમાં જવું પડશે નહીં. ગામમાં દરેક ખૂણે હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું. સમાજના આગેવાનો તથા વેપારી મંડળીઓએ જણાવ્યું કે આ તાલુકા જાહેર થવાથી રાહ ગામના સર્વાંગી વિકાસના નવા દ્વાર ખુલશે.

