ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીનો વેડફાટ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તંત્રની બેદરકારીના કારણે વાલેર અને રમુણા ગામમાં હજારો લીટર પાણી જમીન પર વહી ગયું છે. આ ઘટના એવા સમયે બની છે. જ્યારે તાલુકામાં પાણીની તીવ્ર સમસ્યા પ્રવર્તી રહી છે.
ઉનાળાની શરૂઆત સાથે જ ધાનેરા તાલુકામાં પાણીની તંગી વર્તાઈ રહી છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન મારફતે વિવિધ ગામોમાં આવેલા પાણીના સંપ સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આ માટે લાખો રૂપિયાનો વીજ ખર્ચ પણ થાય છે, જેથી ગામોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય. પરંતુ કટોકટી અને લાખોના ખર્ચ છતાં સ્થાનિક તંત્ર પાણીની કિંમત સમજતું નથી તેવું લાગી રહ્યું છે.
ગતરોજ ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે ભૂગર્ભ પાણીની ટાંકી ઓવરફ્લો થઈ જતાં કલાકો સુધી પાણી વહેતું રહ્યું હતું. એક તરફ જ્યાં સ્થાનિક ગ્રામ પંચાયત પાણીની પરબ અને પાણીના હવાડા સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે, તો બીજી તરફ ઉનાળા દરમિયાન પાણીના આયોજનમાં પણ તેમની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ રહી છે. વાલેર ગામમાં હજારો લોકો માટે પીવાના પાણી જેટલો જથ્થો વ્યર્થ વહી ગયો. સ્થાનિક પંચાયત દ્વારા પીવાના પાણીનો વેડફાટ અટકાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી, તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.
આજ રીતે, ધાનેરા તાલુકાના રમુણા ગામ ખાતે ભૂગર્ભ પાણીની ટાંકીમાં પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવી રહ્યું છે. પરંતુ પાઇપલાઇન નાખવામાં રાખવામાં આવેલી બેદરકારીના કારણે ઘણું પાણી વહી રહ્યું છે. જે પાણી સંપને ભરવા માટે હોય છે, તે પાઇપલાઇન યોગ્ય રીતે સંપ સુધી ન પહોંચતા આસપાસના વિસ્તારમાં વહી જાય છે.
ધાનેરા તાલુકામાં પાણીની વિકટ પરિસ્થિતિ વચ્ચે આ રીતે પાણીનો વેડફાટ થવો એ અત્યંત દુઃખદાયક છે. જે ગામોમાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી, તેઓ પાણીની કિંમત સારી રીતે સમજે છે. પરંતુ ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક તંત્રને પાણીની કદર કે કિંમત સમજાતી નથી, જેના કારણે અમૂલ્ય જળનો વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે અને પાણીનો વેડફાટ અટકાવવા માટે સખત પગલાં ભરે


