ક્રેમલિન દ્વારા સોમવારે જણાવાયું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભારત આવવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.
પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને આજે શરૂઆતમાં રશિયન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા ફોન કોલ દરમિયાન પીએમ મોદીએ તેમને આમંત્રણ આપ્યું હતું.
રશિયન રાષ્ટ્રપતિ આ વર્ષના અંતમાં બંને દેશો વચ્ચે વાર્ષિક શિખર સંમેલન માટે ભારત આવે તેવી અપેક્ષા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રાંધી જયસ્વાલે પુતિન અને મોદીના X પરના ફોન કોલ અંગે અપડેટ્સ શેર કર્યા અને કહ્યું કે, રાષ્ટ્રપતિ પુતિને પીએમ નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને ભારતના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી. તેમણે નિર્દોષ લોકોના જીવ ગુમાવવા પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ જઘન્ય હુમલાના ગુનેગારો અને તેમના સમર્થકોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ.
પુતિને અગાઉ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને તેને ક્રૂર ગુનો ગણાવ્યો, અને ભારત સાથે આતંકવાદ સામેની લડાઈમાં રશિયાના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
બંને નેતાઓએ ભાર મૂક્યો કે રશિયા અને ભારત વચ્ચેના સંબંધો ‘બાહ્ય પ્રભાવ’થી પ્રભાવિત નથી અને ગતિશીલ રીતે વિકાસ પામતા રહેશે. જયવાલના ટ્વિટમાં જણાવાયું છે કે બંને નેતાઓએ ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.