ધાનેરામાં ચોમાસાની ઋતુ શરૂ થતાં જ વાયરલ ફિવરે ભરડો લીધો છે, જેના કારણે દૈનિક દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. ધાનેરામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનાઓમાં રોજના 300 થી 400 જેટલા કેસો નોંધાઈ રહ્યા છે. ડોક્ટર રવિભાઈ ગમાર (એમડી) સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, હાલમાં શરદી અને ખાંસીના કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે અને સરેરાશ 300 થી 350 દર્દીઓ રોજ સારવાર માટે આવી રહ્યા છે. તેમણે લોકોને આ ઋતુમાં વિશેષ સાવધાની રાખવા અપીલ કરી છે.
સાવધાની એ જ શ્રેષ્ઠ ઉપચાર; ડોક્ટર ગમારે વાયરલ ફિવરથી બચવા માટે કેટલાક મહત્વના સૂચનો આપ્યા
1.ઉકાળેલું પાણી પીવું: ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગોનું જોખમ વધે છે, તેથી હંમેશા ઉકાળેલું અને શુદ્ધ પાણી પીવું જોઈએ.
2.પાણીનો ભરાવો અટકાવો: ઘરની આસપાસ કે છત પર કુંડા, ટાયર, કે અન્ય વસ્તુઓમાં પાણીનો ભરાવો ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ, જેથી મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. જો કોઈ વ્યક્તિમાં વાયરલ ફિવરના લક્ષણો જેવા કે તાવ, શરદી, ખાંસી, શરીરમાં દુખાવો, કે નબળાઈ જણાય, તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.

