ઘટ પુરી ન કરાય તો શાળાને તાળાબંધી કરવાની ગ્રામજનોની ચીમકી
તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં ગામ લોકોએ રજુઆત કરી હોબાળો મચાવ્યો
વાવ તાલુકાની અસારા વાસ પ્રા. શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીના વર્ગો ચાલુ છે.જેમાં ૩૪૯ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ સરકારી શિક્ષક હોઈ વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. જેથી ગત રોજ ગ્રામજનો વાવ તાલુકા પંચાયતની શિક્ષણ કચેરીમાં ઘસી આવ્યા હતા. અને એક લેખિતમાં રજુઆત કરી જણાવ્યું હતું કે અમારી પ્રા. શાળામાં ધોરણ ૧ થી ૮ ના વર્ગોમાં ૩૪૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.જેમાં ૧૨ શિક્ષકોના મહેકમ સામે માત્ર ૧ કાયમી શિક્ષક છે. જોકે અન્ય ૪ જ્ઞાન સહાયક શિક્ષકો છે. તેમાં ૧ શિક્ષિકા પ્રસુતિની રજા ઉપર છે. જ્યારે ૧ શિક્ષક વહીવટી કામમાં વ્યસ્ત રહે છે. જે કાયમી શિક્ષક છે.એમનો પણ બદલીનો ઓર્ડર થઈ ગયો છે. હાલમાં ૧૨ શિક્ષકોના મહેકમ સામે માત્ર ૧ શિક્ષક હોઈ ૩૪૯ વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવી શકે? તેવો વેધક કટાક્ષ કર્યો હતો. ત્યારે ભણશે ગુજરાતના રાજ્ય સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.જેથી ગ્રામજનોએ દિન ૧૦ સુધીમાં શિક્ષકોની ઘટ પુરી નહિ કરવામાં આવે તો શાળાને તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી હોબાળો કર્યો હતો.