વિદ્યાલયોમાં સરસ્વતી પૂજન, મંદિરોમાં વિશેષ આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી વાતાવરણ વસંતમય બનશે
વસંત ઋતુની આગમનની સાથે આંબાના વૃક્ષ ઉપર નવી કૃપળો ફુટી મોર આવ્યો
બનાસકાંઠા જિલ્લામાં વસંતપંચમીનું પર્વ પરંપરાગત ભક્તિભાવ અને આનંદ સાથે ઉજવાશે. વસંતઋતુના આગમનનું પ્રતીક ગણાતું આ પર્વ જ્ઞાન, વિદ્યાનો અને કળાનો આરાધ્ય દિવસ માનવામાં આવે છે. જિલ્લાના વિવિધ શહેરો અને ગામોમાં મંદિરો, શાળાઓ, કોલેજો તથા સામાજિક સંસ્થાઓ દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
હિન્દુ શાસ્ત્રોમાં શુભ કાર્યો માટે મુહૂર્તનું વિશેષ મહત્વ રહેલું છે. તેમાં મહા સુદ પાંચમ એટલે કે વસંત પંચમીને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે પંચાંગ જોવાની જરૂર ન રહેતી હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં માંગલિક કાર્યો યોજાય છે. આ વર્ષે પણ વસંત પંચમીના દિવસે શુભ અને માંગલિક કાર્યક્રમો યોજાશે ત્યારે જિલ્લામાં ઠેરઠેર લગ્નપ્રસંગો યોજાતા શરણાઈના સૂર અને ઢોલ-ઢબુકીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.
આ સાથે વસંત પંચમીના પાવન દિવસે તિથિ મહોત્સવ, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, યજ્ઞ, ભજન-કીર્તન તેમજ ભોજન પ્રસાદના કાર્યક્રમો પણ મોટી સંખ્યામાં યોજાયા હતા. જિલ્લાની વિવિધ શાળાઓમાં તથા અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા સરસ્વતી દેવીના પૂજન સાથે વિશેષ કાર્યક્રમો યોજાશે ઉપરાંત ચેહર માતાજીના વસંત પંચમીના જન્મોત્સવની પણ ઠેરઠેર ઉજવણી કરવામાં આવશે જેથી સમગ્ર જિલ્લો ધાર્મિક અને આનંદમય માહોલ જોવા મળશે વસંતપંચમી એ ઋતુ પરિવર્તનનો પણ સંદેશ આપતું પર્વ છે ત્યારે આંબાના વૃક્ષ ઉપર નવી કૃપળોમાં મોર આવતા વસંતના આગમનના વધામણા થતા હોય તેવા ઠેર ઠેર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વસંત પંચમી સાથે જોડાયેલી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતાં લોકો પરસ્પર શુભેચ્છાઓ આપશે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વસંતપંચમીનું પર્વ આનંદ, શ્રદ્ધા અને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપતું બની રહેશે.

