બનાસકાંઠાના ડીસા તાલુકામાં શિયાળાની શરૂઆતમાં જ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. તાજેતરમાં મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને બટાકાનું વાવેતર કરનારા ખેડૂતોને અણધાર્યા વરસાદના કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે.
અચાનક બે ઇંચ જેટલો કમોસમી વરસાદ પડતાં ડીસા તાલુકાના માલગઢ, નાની આખોલ, રાણપુર સહિતના વિસ્તારોના ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાને કારણે વાવેલું બટાકાનું બિયારણ જમીનમાં જ સડી ગયું છે, જેનાથી ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. સડી ગયેલું બિયારણ હવે ઊગી શકે તેમ ન હોવાથી ખેડૂતોને બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડ્યો છે. આ નુકસાન બાદ હવે ખેડૂતો નવેસરથી ખેતી કરવા માટે ફરીથી પોતાના ખેતરો ખેડી રહ્યા છે, જેથી જમીનને વાવેતર માટે તૈયાર કરી શકાય.
ખેડૂતોની માંગ : સર્વે કરીને વાસ્તવિક સહાય મળે
ખેડૂતો છેલ્લા ચારથી પાંચ વર્ષથી વરસાદની અનિયમિતતાના કારણે સતત પાકનું નુકસાન ભોગવી રહ્યા છે. તેમ છતાં, તેમને સરકાર તરફથી પૂરતી સહાય ન મળી હોવાની ફરિયાદ છે.
ખેડૂત મોહનલાલ માળીએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે“દર વર્ષે આવું નુકસાન થાય છે, પણ કોઈ મદદ મળતી નથી. સરકાર સર્વે કરે અને મદદ આપે.”ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવીને તેમને થયેલા વાસ્તવિક નુકસાન મુજબ સહાય આપવાની માંગ કરી રહ્યા છે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે.
ટ્રેક્ટર ચાલક નરશીભાઈ યાદવના જણાવ્યા અનુસાર
“ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતાં હવે જમીન ખેડી રહ્યા છે જેથી નવી ખેતી કરી શકાય.”કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે અને હવે તેમની નજર સરકાર તરફ છે, કે તેમને ક્યારે યોગ્ય સહાય મળશે.

