હાઇવે પર વરસાદી પાણીના નિકાલની કેનાલ અધૂરી છોડી મૂકાતા સમસ્યા સર્જાઇ
વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહિ આવે તો ચક્કાજામની ચીમકી અપાઇ
પાલનપુર તાલુકાના કાણોદર ગામના હાઇવે પર ઓવરબ્રિજના કામને લઇ સ્થાનિક લોકો તેમજ વેપારી મુશ્કેલીમાં મુકાયા છે. અહી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા સામાન્ય વરસાદમાં દુકાનો આગળ પાણી ભરાઇ જવાને લઇ વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેને લઈ વરસાદી પાણીના નિકાલની તાકીદે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
કાણોદર હાઇવે પર ઓવરબ્રિજને લઇ હાઇવે પહોળો કરવામાં આવ્યો છે સાથે હાઈવેની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ બનાવવામાં આવી છે.જેને અધૂરી છોડી મૂકવામાં આવતા વરસાદી પાણી અહી રોડની બંન્ને સાઈડમાં દુકાનો આગળ ભરાઇ રહે છે જેને લઈ લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ મામલે અનેક વાર હાઇવે ઓથોરિટીને જાણ કરવામા આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હાલમાં પડેલા સામાન્ય વરસાદમાં અહી પરિસ્થિતિ વણસી છે. જેને લઇ અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.જેથી જવાબદાર તંત્ર દ્વારા સત્વરે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ ઉઠવા પામી છે. તેમ છતાં તેમની માંગણી સંતોષવામાં નહિ આવે તો હાઇવે પર ચક્કાજામ કરવાની વેપારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


