દરિયામાં ભરતી હોવાને કારણે નદીમાં પણ પાણી બહુ હોય હાલ સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ ચાલુ; પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં બુધવારે બપોરે ગોમતી નદીમાં સ્નાન કરતા ત્રણ પ્રવાસીઓ ડૂબ્યા હતા. જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે જ્યારે બે લોકોની શોધખોળ અને રેસ્ક્યુની કામગીરી હાલમાં ચાલું છે.ગોમતી નદીમાં ડુબેલા આ ત્રણેય દશૅનાર્થીઓ પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના મેત્રાણા ગામના હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે બપોરે યાત્રાધામ દ્વારકા મંદિરે પાટણ પંથકના સિધ્ધપુર તાલુકાના મેત્રાણા ગામ થી દર્શને ગયેલા ત્રણ યાત્રાળું ગોમતી ઘાટે નદીમાં સ્નાન કરતા સમયે ડૂબ્યા હતા. જેથી સ્થાનિક તરવૈયા અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યુની કામગીરી શરુ કરી હતી. જેમાં એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બે વ્યક્તિ પાણીમાં ગરકાવ થઇ જતાં તેમની શોધખોળની કામગીરી હાલમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.ગોમતી નદીમાં ડૂબી ગયેલા બંને મામા-ભાણેજ હોવાનું અને પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે જેમાં શૈલેષભાઇ ગોસ્વામી (ઉંમર 27 વર્ષ, રહે. મેત્રાણા ગામ, તા. સિદ્ઘપુર, જિલ્લો. પાટણ) અને ધ્રુમિલ ગોસ્વામી (ઉંમર 16 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે રેસ્ક્યુ કરવામાં આવેલા યુવકને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. દરિયામાં ભરતી હોવાને કારણે નદીમાં પણ પાણી બહુ હોય હાલ સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડની ટીમ પાણીમાં ડૂબેલા બે લોકોના રેસ્ક્યુની કામગીરીમાં જોતરાઇ હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.