યાત્રિકલક્ષી સુવિધાઓના વિકાસ માટે અંબાજી ખાતે સુશિક્ષિત ગાઈડ તૈયાર કરાશે
આગામી સમયમાં શ્રી અંબાજી તીર્થનો સર્વાંગી વિકાસ થવા જઈ રહ્યો છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અહી વધુને વધુ યાત્રિકલક્ષી સુવિધાઓનો વિકાસ થાય એ માટે સતત સક્રિય છે. વિવિધ સ્તરે થઈ રહેલ વિકાસનો લાભ સ્થાનિક લોકોને થાય એ અતિ આવશ્યક છે. જે હેતુસર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અતુલ્ય વારસો, ગાંધીનગર સાથે મળીને અંબાજી ખાતે તીર્થ દર્શન સરકીટ રૂટ ડીઝાઈન કરવામાં આવી રહ્યો છે.
જેના ભાગરૂપે આગામી સમયમાં શ્રી અંબાજી ધામ અને જોવાલાયક સ્થળો તેમજ યાત્રિક સુવિધાઓની આધારભૂત માહિતી મળી શકે એ માટે સુશિક્ષિત ગાઈડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજથી શ્રી અંબિકા સંસ્કૃત મહા વિદ્યાલય ખાતે ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીના વરદ્ હસ્તે ત્રિદિવસીય ગાઈડ તાલીમનો આરંભ કરવામાં આવ્યો હતો. આ ઉદ્દઘાટન સત્રમાં શ્રી અંબાજી ટ્રસ્ટના પદાધિકારીઓ સહીત સ્થાનિક વિસ્તારના કુલ ૫૦થી વધારે સભ્યોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના વહિવટદાર કૌશિક મોદી, અતુલ્ય વારસાના સંસ્થાપક કપિલ ઠાકર, પ્રવાસન નિષ્ણાંત ગૌતમ પોપટ, લેખક-સંશોધક વર્ષાબેન ભટ્ટ દ્વારા પ્રારંભિક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.