પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઇને આભાર માનતી સોશિયલ મીડિયા પોસ્ટ હાર્દિક પટેલે કરી છે. આ પોસ્ટ બાદ અન્ય પાટીદાર નેતાઓ અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને નરેશ પટેલે પણ સરકારનો આભાર માન્યો છે. પણ આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર આગેવાન લલિત કગથરાએ ચાબખા મારતા કહ્યું કે ‘ભાજપમાં ભળ્યા એટલે રાષ્ટ્રદ્રોહીમાંથી રાષ્ટ્રભક્ત થઇ જાય?’ તો લાલજી પટેલે કહ્યું કે ન માત્ર આ જ પણ તમામ કેસો પરત ખેંચવા જોઇએ. જોકે આ બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ સરકારના નિર્ણયને લઈને જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના સમયે જે કેસો થયા હતા, તેમાં અતિ ગંભીર પ્રકારના લગભગ 14 કેસો સરકાર દ્વારા પરત ખેંચવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સત્તાવાર રીતે સરકાર દ્વારા યાદી પણ જાહેર કરવામાં આવશે. 8 કેસ અમદાવાદના છે, 2 કેસ સુરતના, 3 કેસ ગાંધીનગરના અને 1 કેસ મહેસાણાનો છે. આ મળી કુલ 14 જેટલા કેસો પરત ખેંચવામાં આવશે.
આંદોલનકારી ભાજપમાં ભળી જાય એટલે રાષ્ટ્રદ્રોહીમાંથી રાષ્ટ્ર ભક્ત થઈ જાય’
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર આગેવાન લલિત કગથરાએ જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલન સમયે પાટીદારના યુવાનો ઉપર દેશ આઝાદ થયા પછી પ્રથમ વખત રાષ્ટ્રદ્રોહની કલમ લગાવવામાં આવી. દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડી દીધી હોય તેવો મોટો ગુનો કર્યો હોય એવો ગુનો પાટીદારના યુવાનો ઉપર લગાડ્યો ત્યારે પણ અમે કહ્યું હતું કે આ કાનૂનનો મિસયુઝ છે. આ પછી જે આંદોલનકારી સામે ફરિયાદો થઇ તે ભાજપમાં ભળી જાય અથવા ભેળવવામાં આવે એટલે રાષ્ટ્રદ્રોહ રાષ્ટ્ર ભક્ત થઇ જાય એટલે કેસ પાછા ખેંચી લેવામાં આવે એટલે સરકાર રાષ્ટ્રદ્રોહી છે એવું હું સ્પષ્ટ માનું છું.