તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી વિવિધ પુલોનું નિરીક્ષણ તથા સેફ્ટી ઓડિટ હાથ ધરાયું હતું. આગામી એક મહિનામાં તમામ બ્રિજનું સેફ્ટી ઓડિટ પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સબમિટ કરાશે.
જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન અને સૂચના અન્વયે આજરોજ સુઈગામ પ્રાંત અધિકારી દ્વારા માર્ગ અને મકાન વિભાગની ટેકનિકલ ટીમ સાથે સૂઇગામ – જલોયા – નડાબેટ રોડ પર આવેલ કુલ ૦૨ માઈનોર બ્રિજ તથા ભાભર તાલુકામાં ભાભર નેશનલ હાઈવેથી વાવડી જતા આવેલ ૦૧ બ્રિજનું, ભારત માલાના ૦૨ અને નર્મદાના ૦૨ બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ કર્યા બાદ કોઈપણ પુલમાં કોઈ મોટી ખામી જોવા મળી નહોતી. ટેકનીકલ ખામીઓ જેવી કે પાણી ભરાઈ જતું હોય, પાણીના નિકાલમાં અવરોધ હોય તો તેને તાત્કાલિક રીપેરીંગ કરવા માટે સૂઇગામ પ્રાંત અધિકારીએ સબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.


