વિકાસ ભારત સપ્તાહ – ૨૦૨૫ના અવસરે સમગ્ર દેશ વિકાસ સાથે વારસાનું સંવર્ધનનો સંદેશ ઉજવી રહ્યો છે. એ પર્વે પાટણની ધરતી પોતાના ગૌરવપૂર્ણ ઈતિહાસને ફરી એકવાર યાદ કરી રહી છે. આ ધરતી પર ગર્વથી ઊભી છે એવી અદભુત સ્થાપત્યકલા રાણી ની વાવ, જે ભારતની પ્રાચીન શિલ્પ પરંપરા અને ઇજનેરીના વૈભવનું અખંડ પ્રતીક છે. આ વાવ માત્ર પાટણની ઓળખ નથી, પરંતુ તે ભારતના સુવર્ણ ઈતિહાસ, કળા સૌંદર્ય, નારી શક્તિ અને પતિ પ્રેમનું જીવંત પ્રતિક છે.સાત માળની આ અદ્વિતીય રચના આજે ભારતની આધુનિક વિકાસયાત્રા વચ્ચે પોતાના ભવ્ય ભૂતકાળની કથા કહી રહી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી, પાટણની રાણી ની વાવને આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખી ઓળખ મળી છે. વર્ષ ૨૦૧૪માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થાન તરીકે માન્યતા પ્રાપ્ત કરાવામાં તેમનો દ્રષ્ટિપૂર્ણ દુરંદેશી અભિગમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો.
વડાપ્રધાન ના દ્રષ્ટિપૂર્ણ પ્રયત્નોથી રાણી ની વાવની પ્રતિમૂર્તિ ૨૦૧૭ માં રૂપિયા ૧૦૦ ની નોટ પર અંકિત કરવામાં આવી. વડાપ્રધાન ના નેતૃત્વમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ પ્રતિષ્ઠિત શિલ્પને નોટમાં છાપીને ભારતના ગૌરવપૂર્ણ વારસાને વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું. જે પાટણના ઈતિહાસ, વારસા અને ગુજરાતના ગૌરવનું જીવંત પ્રતીક બની લોકોના ઘર ઘર સુધી પહોંચી છે. આજે રાણી ની વાવ વિશ્વભરના પ્રવાસીઓ માટે અનિવાર્ય પ્રવાસ સ્થળ બની ગઈ છે. દર વર્ષે હજારો વિદેશી તથા દેશી પ્રવાસીઓ અહીં આવીને ભારતીય સ્થાપત્ય કળાનું અદભુત સૌંદર્ય નિહાળે છે. પરિણામે પાટણના હોટેલ, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગોને નવો વેગ મળ્યો છે.
ગુજરાત સરકારે વાવના સંરક્ષણ અને વિસ્તારના સૌંદર્યવર્ધન માટે વિશેષ આયોજન હાથ ધર્યું છે. રાત્રિ સમયે લાઇટિંગ, પ્રવાસી સુવિધાઓ, માર્ગદર્શકોની તાલીમ અને સ્વચ્છતા વ્યવસ્થાથી રાણીની વાવ હવે આધુનિક પર્યટનનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. રાણીની વાવ માત્ર ઐતિહાસિક સ્મારક નથી, પરંતુ તે ભારતની જળસંચય પ્રણાલી, શિલ્પકળા અને મહિલા સન્માનનું જીવંત પ્રતિક છે. વિકાસ ભારત સપ્તાહના આ અવસરે પાટણની આ ધરોહર “સમૃદ્ધ વારસો વિકસતું ભારત” નો સંદેશ આપી રહી છે.
Beta feature


