બનાસની 70 ટકાથી વધુ ગ્રામ પંચાયતો હાલ વહીવટદારોના ભરોસે; વિકાસ કામો પર અસર
વાવ-થરાદ જિલ્લાની વિધિવત રચના બાદ ચૂંટણી થાય તો ગ્રામ પંચાયતો પણ બન્ને જિલ્લામાં વિભાજીત થઈ જશે
રાજસ્થાનની દક્ષિણે અને ગુજરાતની ઉત્તરે આવેલ બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યના ત્રણ મોટા જિલ્લાઓ પૈકીનો એક છે. આ જિલ્લામાં રાજ્યના સૌથી વધુ એવા 14 તાલુકાઓ આવેલા છે. તેમજ અંદાજિત 38 લાખ જેટલી વસ્તી વસવાટ કરે છે અને મોટા ભાગની પ્રજા ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે. તેથી આ જિલ્લામાં આવેલ 980 જેટલી ગ્રામ પંચાયતોનો યોગ્ય વહીવટ થાય તે અત્યંત જરૂરી છે. ગ્રામ પંચાયતોના વહીવટને સુનિશ્ચિત કરવા સ્થાનિક સ્વરાજની ચૂંટાયેલી બોડી કાર્ય કરતી હોય છે. પરંતુ ઘણા લાંબા સમયથી બનાસકાંઠા જિલ્લાની 70 ટકાથી વધુ ગ્રામ પંચાયતોમાં પંચાયત બોડીની ટર્મ પૂરી થઈ ગઈ હોવાથી આવી તમામ ગ્રામ પંચાયતોમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલ અધિકારીઓ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળે છે. પંચાયત બોડી અમલમાં નહીં હોવાથી સરકાર તરફથી ગ્રામ પંચાયતોને મળતી ગ્રાન્ટ અને તેને લીધે થતા અનેકવિધ વિકાસ કામો ખોરંભે ચડ્યા છે. જો કે હાલમાં રાજ્ય સરકારે આગામી જૂન મહિના આસપાસ તમામ ખાલી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી તેમજ પેટા ચૂંટણી યોજવા માટેની પ્રક્રિયા હાથ ધરતા આ સમસ્યાનો ટૂંકા ગાળામાં અંત આવે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.
કર્મચારીઓની ઘટ વચ્ચે તલાટીઓને ગ્રામ પંચાયતોના વહીવટદાર તરીકેનું વધારાનું ભારણ
એક તરફ રાજ્યભરમાં તલાટી,સર્કલ ઇન્સ્પેકટર સહિત વર્ગ 3 નાં અનેક કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે, કર્મચારીઓની પહેલેથી જ ઘટ હોવાથી સરકારી કામ સમય મર્યાદામાં નહિ થતું હોવાની વ્યાપક ફરિયાદો પ્રકાશમાં આવતી હોય છે, તેવામાં હવે તલાટીઓને જે ગ્રામ પંચાયતોની ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે તેવી પંચાયતોમાં વહિવટદાર તરીકેનો વધારાનો હવાલો સોંપાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં 619 થી વધુ ગ્રામ પંચાયતોમાં સ્થાનિક બોડીની મુદ્દત પૂર્ણ થઈ ચૂકી હોવાથી સરકાર દ્વારા નિયુક્ત કરેલ તલાટીઓ અને સર્કલ ઇન્સપેકટર વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે. પરંતુ મોટાભાગના તલાટીઓ પાસે બેથી ત્રણ ગામોના વહીવટદારનો ચાર્જ હોવાથી તેઓ ગ્રામ પંચાયતના કામોને સંપૂર્ણ ન્યાય આપી શકતા નથી. જેને લીધે ગ્રામીણ પ્રજાજનોને જન્મ મરણના દાખલા સહિતના નાના મોટા પ્રશ્નો માટે પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
ગ્રામ પંચાયત સ્થાપવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો?
દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કહેતા હતા કે સાચું ભારત ગામડામાં વસે છે, તેથી જ્યાં સુધી ગ્રામીણ વિકાસ નાં થાય ત્યાં સુધી ભારત વિકસિત ના બની શકે, અને વહીવટમાં પારદર્શિતા લાવવા માટે ગ્રામ્ય સ્તરે ગામના લોકોની પોતાની જ ચૂંટાયેલી બોડી હોવી જોઈએ જે પોતાના ગામનો વહીવટ કરે. આ વિચારને ધ્યાનમાં રાખીને જ ભારતના બંધારણમાં ભાગ 4 નાં અનુચ્છેદ 40 માં ગ્રામ પંચાયતની સ્થાપનાનો ઉલ્લેખ કરાયો છે. એટલું જ નહિ,ગ્રામ પંચાયત સહિતની સ્થાનિક પંચાયતોની બોડીના યોગ્ય અમલીકરણ માટે બંધારણની અનુસૂચિ 11 માં પણ પંચાયત અધિનિયમને સમાવિષ્ટ કરાયેલ છે. પરિણામે ભારતમાં દરેક ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ વિકાસ કાર્યોનો વહીવટ જે તે ગામના સ્થાનિક લોકો જ કરી રહ્યા છે.
થરાદ જિલ્લાનું જાહેરનામું બહાર પડે તેની ચાતક નજરે રાહ જોતા બનાસના કર્મચારીઓ
ગત તા.1-1-2025 નાં બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ જિલ્લાની ઔપચારિક જાહેરાત બાદ સરકારે હજુ સુધી જાહેરનામું બહાર પાડી નવા થરાદ જિલ્લાની વિધિવત ઘોષણા કરી નથી,પરંતુ તેના માટેની બધી જ પ્રક્રિયા હાથ ધરાઈ ચૂકી છે, ત્યારે જિલ્લાના તમામ કર્મચારી – અધિકારી વર્ગમાં પણ એક જ ચર્ચાએ જોર પકડ્યું છે કે આખરે થરાદ જિલ્લો ક્યારે બનશે, સરકારી બાબુઓ પર હાલ કામનું ભારણ વધતું હોવાથી નવીન જિલ્લો બને તો ભારણ ઘટી શકે છે તેવી આશામાં આ ઇન્તજારની ઘડીઓ લાંબી થતી જઈ રહી છે.
ક્યા તાલુકામાં કેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી આવશે ? તે જાણો
થરાદ 66, ડીસા 61,કાંકરેજ 59, પાલનપુર 53,ધાનેરા 52, વાવ 50, વડગામ 45, દાંતા 39, દિયોદર 39, લાખણી 37, દાંતીવાડા 32,ભાભર 34, સૂઇગામ 27 અને અમીરગઢમાં 17 ગ્રામ પંચાયતોની મુદ્દત તા. 30-6-2025 સુધી પૂર્ણ થતી હોઇ ટુંક સમયમાં આ તમામ ગ્રામ પંચાયતોમાં ફરીથી ચૂંટણી યોજાશે. તેવી માહિતી ચૂંટણી વિભાગના વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત થવા પામી છે.