510 વિદ્યાર્થીઓને પદવી એનાયત: 36 તેજસ્વી તારલાઓને ૩૯ સુવર્ણચંદ્રકો એનાયત
સત્યના માર્ગે ચાલી મેળવેલા જ્ઞાનનો રાષ્ટ્ર હિતમાં ઉપયોગ કરવો જોઈએ: રાજ્યપાલ
જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવા અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર વિકલ્પ:- રાજ્યપાલ
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો 21મો પદવીદાન સમારોહ આજે રાજ્યપાલ તથા યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ ગરિમામય સમારોહમાં રાજ્યપાલના હસ્તે વિવિધ વિદ્યાશાખાના 36તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ 39 સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. તેમાં 7 ચાન્સેલર ગોલ્ડ મેડલ, 6વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ અને 26 ડોનર ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ઉપરાંત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના કુલ 510 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી દીક્ષિત કરવામાં આવ્યા હતા, જેમાં 302 સ્નાતક, 154 અનુસ્નાતક અને 54 વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત થઈ હતી.
આ પ્રસંગે રાજ્યપાલએ પદવીધારકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે પ્રાચીન સમયથી દેશમાં ગુરુ-શિષ્યનો સંબંધ અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. શિક્ષણના આદાન-પ્રદાન અને દિક્ષાંત સમારોહ થકી ગુરુ દ્વારા વિદ્યાર્થીઓને અંતિમ ઉપદેશ આપવામાં આવે છે. એક વિદ્યાર્થી પાસે સમાજ, પરિવાર અને દેશ શું અપેક્ષા રાખે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. પ્રાચીન સમયથી ગુરુ દ્વારા વિદ્યાર્થીને પ્રથમ ઉપદેશ તરીકે સત્ય આધારિત જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવે છે. સત્ય અજેય છે અને તે અંધકારમાંથી ઉજાસ તરફ દોરી જાય છે. બીજો ઉપદેશ જીવનમાં એવા દિવ્ય ગુણોને અપનાવવાનો છે, જેનાથી દરેકને સુખ અને શાંતિ મળે, જ્યારે ત્રીજો ઉપદેશ એ છે કે વિદ્યાર્થીએ જે વિષયનો અભ્યાસ કર્યો હોય તેની સાથે સતત જોડાયેલા રહી પોતાનું જ્ઞાન કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના હિતમાં ઉપયોગી બનાવવું જોઈએ. તેમણે જણાવ્યું કે, ખેડૂત ખેતરમાં જવાનું છોડી દે અને વિદ્યાર્થી અભ્યાસ છોડી દે તો બંનેનું કાર્ય નિરર્થક બની જાય છે.
રાજ્યપાલએ જણાવ્યું કે, એક વિદ્યાર્થી માટે માતા-પિતા અને ગુરુ હંમેશા પૂજનીય છે. દરેક વિદ્યાર્થીએ દેશના હિતમાં સારું કાર્ય કરવાની દિશામાં પ્રયત્ન કરવો જોઈએ. તેમણે દેશની કૃષિ વ્યવસ્થાના ઇતિહાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 60 ના દશકામાં ભારત અન્નક્ષેત્રે અન્ય દેશો પર નિર્ભર હતું. તે સમયે વૈજ્ઞાનિક ડૉ. એમ. એસ. સ્વામીનાથને દેશને હરિત ક્રાંતિનો માર્ગ બતાવ્યો હતો. તેમના રિપોર્ટ અનુસાર તે સમયે દેશની જમીનમાં ઓર્ગેનિક કાર્બન 2 થી 2.5 ટકા હતો. તેમણે રાસાયણિક ખાતર ઉપરાંત પરંપરાગત ખેતી ચાલુ રાખવા ભલામણ કરી હતી. પરંતુ સમયાંતરે રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધતા આજે જમીનનો ઓર્ગેનિક કાર્બન ખૂબ જ ઘટી ગયો છે. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવામાં મદદરૂપ બને છે, જ્યારે રાસાયણિક ખાતર તેને ઘટાડે છે.
આ પ્રસંગે રાજ્યપાલ એ “ શ્રી અન્ન” પુસ્તકનું વિમોચન કર્યું હતું તેમજ યુનિવર્સિટીના નવા ગેટ અને વેબસાઇટને ખુલ્લી મૂકી હતી. દીક્ષાંત પ્રવચન આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કૃષિના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો કરીને કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારવા અનુરોધ કર્યો હતો.

