સુઈગામ તાલુકાના દુધવા, રાજપુરા, નવાપુરા અને લીંબુણી ગામના ખેડૂતોએ નર્મદા નિગમના અધિક્ષક ઈજનેરને રજૂઆત કરી છે. ખેડૂતોએ દુધવા માઈનોર કેનાલ-2 નું અધૂરું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી છે. વર્ષ 2024માં સરકારે કેનાલના નવા કામની મંજૂરી આપી હતી. એજન્સીને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો હતો. જોકે, થોડા સમય કામ કર્યા બાદ એજન્સીએ અધૂરું છોડી દીધું છે. આના કારણે ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ચાલુ વર્ષે વરસાદની અછતના કારણે પહેલેથી જ ખેડૂતો મુશ્કેલીમાં છે. કેનાલના અધૂરા કામને કારણે મોટા ખાડાઓ પડ્યા છે. આના કારણે ખેતરે જવા-આવવાના રસ્તા પણ બંધ થઈ ગયા છે. ખેતી અને પશુપાલનમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. મોરવાડા ડિસ્ટ્રિક્ટની આ સૌથી લાંબી કેનાલ ચાર ગામોને આવરી લે છે. જો તાત્કાલિક કામ પૂર્ણ નહીં થાય તો ચાલુ સિઝનમાં ખેડૂતોને સમયસર પાણી નહીં મળે. રવી સિઝનમાં પણ મોટું આર્થિક નુકસાન થવાની સંભાવના છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો પાંચ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે અધિક્ષક ઈજનેરની કચેરી ખાતે આંદોલન કરશે. આ માટેની જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે.

