રાજ્ય સરકાર દ્વારા બાળકો કુપોષણનો ભોગ ન બને તે માટે લાખો રૂપિયાના ખર્ચે શાળાઓ અને આંગણવાડીઓમાં પૌષ્ટિક આહાર અને દૂધ પૂરું પાડવામાં આવે છે. પરંતુ સરકારી બાબુઓ અને જવાબદાર તંત્રની ઘોર બેદરકારીના કારણે આ યોજનાઓ માત્ર કાગળ પર જ ચાલતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તાજેતરમાં ધરણીધર તાલુકાના રાછેણા થી આછુવા ગામના મુખ્ય રોડ પર બાળકોને આપવાનું પૌષ્ટિક દૂધ જાહેર રસ્તા પર બિનવારસી હાલતમાં રજળતું વાયરલ વીડિયોમાં જોવા મળી આવ્યું છે.
મળતી માહિતી મુજબ, રાછેણાથી આછુવા ગામના રસ્તા પર બાળકો માટે ફાળવવામાં આવેલી દૂધની અનેક થેલીઓ રોડ પર વેરવિખેર પડેલી જોવા મળી હતી. આ દૂધ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના પેટ સુધી પહોંચવાના બદલે રસ્તા પર વેડફાઈ રહ્યું છે. સ્થાનિકો દ્વારા આ દ્રશ્યો કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. જે સરકારી તંત્રની ઉદાસીનતા અને લાપરવાહીની ચાડી ખાય છે. સ્થાનિકોમાં ભારે રોષ છે કે અગાઉ પણ આ વિસ્તારમાં આવા કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. પરંતુ દર વખતની જેમ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. જો આવી જ રીતે ગરીબ બાળકોના હકનું દૂધ અને પૌષ્ટિક આહાર રસ્તા પર વેડફાતો રહેશે તો સરકારના કુપોષણ મુક્ત અભિયાનનો શું અર્થ જેને લઈને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે આ ગંભીર લાપરવાહી સામે ગ્રામજનો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે આ દૂધ રસ્તા પર કેવી રીતે પહોંચ્યું તેની તટસ્થ તપાસ થાય જે-તે એજન્સી, ટ્રાન્સપોર્ટ અથવા સરકારી કર્મચારીની આમાં સંડોવણી હોય તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને તે માટે કડક દાખલો બેસાડવામાં આવે હવે જોવાનું એ રહ્યું છે કે આ વિડીયો અને પુરાવાઓ સામે આવ્યા બાદ વહીવટી તંત્ર જાગે છે કે પછી દર વખતની જેમ કાગળ પર તપાસના નામે ભીનું સંકેલી લેવામાં આવે છે.

