પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પજશકિયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ મુલાકાત દરમિયાન PM મોદીએ ઈરાની રાષ્ટ્રપતિને ઈદ અને નવરોઝના પવિત્ર તહેવારોની શુભકામનાઓ પાઠવી હતી. આ અંગેની જાણકારી આપતા પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ભારત મિડલ ઈસ્ટમાં શાંતિ અને સ્થિરતાની આશા રાખે છે. વાતચીત દરમિયાન PM મોદીએ મિડલ ઈસ્ટના ક્ષેત્રમાં ઓઈલ અને વીજળી જેવા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આવા હુમલાઓથી વૈશ્વિક સપ્લાય ચેઈન અને પ્રાદેશિક શાંતિ પર નકારાત્મક અસર પડે છે. વધુમાં, વેપાર અને વાણિજ્ય માટે દરિયાઈ માર્ગો ખુલ્લા અને સુરક્ષિત રાખવા પર ભાર મૂક્યો હતો. આ સાથે જ, ઈરાનમાં વસતા ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સહયોગ આપવા બદલ PM મોદીએ ઈરાન સરકારનો આભાર માન્યો હતો.

